SURAT : અમરોલીમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, વેપારીઓ અને મનપા અધિકારીઓ વચ્ચે બબાલ
નાના વેપારીઓ અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારા સુધીની સ્થિતિ ઊભી થઈ ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસના આવતાની સાથે જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
SURAT : કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લારીઓ પર ફળો, સ્વેટર સહિતના રેડીમેટ કપડા તેમજ શાકભાજી વિક્રેતાઓની લારીઓ લઈ જતા વાતાવરણ તંગ થયું હતું. મનપાના અધિકારીઓને કામગીરીને લઇને નાના વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક ઈસમને પોલીસે ધરપકડ કરી હતી.
અમરોલી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવા માટે સવારે એસઆરપીની ટુકડી સાથે પહોંચી હતી. મનપાના અધિકારીઓ તેમજ અન્ય દબાણ ખાતા ના સ્ટાફ દ્વારા કામગીરી શરૂ કરતાની સાથે જ સ્થાનિક લારીઓના વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તે રીતે તેઓ રજૂઆત કરી રહ્યા હતા. અધિકારીઓ કયા કારણસર તેમની લારીઓ આ રીતે ઊંચકી જઈ રહ્યા છે તેવી દલીલો કરતા મામલો વધુ બીચક્યો હતો. લારી ના વેપારીઓ દ્વારા દબાણ ખાતાની ટીમ ઉપર પથ્થરમારો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
નાના વેપારીઓ અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારા સુધીની સ્થિતિ ઊભી થઈ ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસના આવતાની સાથે જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોતાની લારી ન ઉચકી જવા માટે દબાણ ખાતાના અધિકારીઓની સામે વેપારીઓ ઊભા રહી ગયા હતા અને પોતાની લારી ન લઈ જવા માટે સતત માથાકૂટ કરતા જોવા મળ્યા હતા. વેપારીઓનો વિરોધ વધતો દેખાતા અમરોલી પોલીસે આખરે એક ઈસમની ધરપકડ કરી હતી.મહાનગર પાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા અલગ-અલગ ઝોનમાં આ પ્રકારની કામગીરી સમયાંતરે કરવામાં આવતી હોય છે.
પરંતુ કોઈ નક્કર પોલીસી ન હોવાને કારણે ખોટી રીતે નાના વેપારીઓને કનડગત કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ સામાન્ય રીતે જોવા મળ્યા છે. નાના વેપારીઓ પોતાના ગુજરાન ચલાવવા માટે લારી પર વેચાણ કરતા હોય છે. પરંતુ નામ માત્ર મનપાના અધિકારીઓ લારી લઈ જાય છે અને ફરીથી રૂપિયા ખંખેરીને લારી પરત આપી દેતા હોય છે. અને વેપારીઓ ફરીથી લાલી લગાવી દેતા હોય છે આ જ પ્રકારની સ્થિતિ વારંવાર જોવા મળતી હોય છે. ત્યારે ઘણી વખત એવું લાગે છે કે મનપાના દબાણ ખાતાના અધિકારીઓ માત્ર વેપારીઓ પાસે લારી છોડાવવા માટે રૂપિયા ખંખેરી લેવા માટે જ આ પ્રકારની કાર્યવાહી કરે છે.