આરોગ્ય સભાન સુરતીઓ માટે માનપા કરી રહી છે વિચારણા, શહેરમાં ઉભી થઇ શકે છે આ સુવિધા
સુરત શહેરના લોકો આરોગ્યને લઈને વધુ સભાન બન્યા છે. આવી સ્થિતિમાં મનપા પણ નાગરીકો માટે વોક વેની વધુને વધુ સુવિધા ઉભી કરવા વિચારણા કરી રહી છે.
સુરત શહેરના લોકો હવે હેલ્થ કોન્સિયસ બન્યા છે. તેમજ આરોગ્ય પ્રત્યે વધારે ધ્યાન આપતા થયા છે. કોરોના પછી આ આરોગ્ય માટે આ સજાગતા સુરતીઓમાં સૌથી વધારે આવી છે. અત્યાર સુધી સુરત શહેર ઘણા નામે ઓળખાતું હતું.
સુરત શહેરને ડાયમંડ સિટી, ટેકસટાઇલ સિટી તો નામ આપવામાં આવ્યું છે. પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સવલત માટે સુરતમાં 115 જેટલા નાના મોટા બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેથી હવે શહેરની ઓળખ બ્રિજ સીટી તરીકે પણ થશે.
પરંતુ શહેરીજનો હવે હેલ્થ બાબતે પણ વધુ જાગૃત છે. જેથી હવે આ હેતુથી સુવિધા ઉભી કરવા મહાનગરપાલિકાએ આયોજન વિચાર્યું છે. શહેરીજનો પાલિકાના પ્રોજેક્ટનો મહત્તમ ઉપયોગ કરી દરરોજ ચાલવાનું રાખે તેવા આયોજન કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં મધ્યમાંથી તાપી નદી પસાર થાય છે તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલ રૂંઢ, ભાઠા રબર બેરેજ યોજનાનું આયોજન છે. એટલે સુરત શહેરમાં તાપી નદી હંમેશા ભરેલી રહેશે.
તાપી નદીના કિનારે લોકો ચાલી શકે અને ઉત્તમ હરવા ફરવાનું સ્થળ બની રહે તે માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાપી નદી પર વોક વે પણ બનાવાશે. જે રીતે શહેરમાં રસ્તા પર સર્વિસ રોડ પહોળા છે ત્યાં પણ વોક વે બનાવી શકાય છે કે કેમ તેની શક્યતા ચકાસવામાં આવશે અને શહેરમાં વધુમાં વધુ વોક વે બનાવીને એક આગવી ઓળખ આપવામાં આવશે.
હેલ્થ કોંશિયસ સુરતીઓ માટે આ પહેલા પણ સુરત મનપા બાઇસિકલ શેરિંગ પ્રોજેકટ અમલી બનાવી ચુકી છે. જેને પણ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. અને હવે વોક વે બનાવવાના વિચારથી પણ શહેરીજનો માટે તે આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો: OMG: સુરતના આ પ્રકારના હીરાની આયાતમાં એક વર્ષમાં 372 ટકાનો વધારો, જાણો કેમ છે આટલો ક્રેઝ
આ પણ વાંચો: Surat: વરસાદ ખેંચાતા રેઇનકોટના વિક્રેતાઓને આવ્યો રડવાનો વારો, વેચાણમાં 20 ટકા સુધીનો ઘટાડો