Surat : કોરોના બાદ મ્યુકરમાઈકોસીસે તાંડવ મચાવ્યું, ઇન્જેક્શનની પણ અછત
સુરતમાં (Surat)કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની બીમારીએ માથું ઊંચક્યું છે.
સુરતમાં (Surat)કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની બીમારીએ માથું ઊંચક્યું છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે છે, સાથે સાથે તે મટવાનું પણ નામ લેતી ન હોય દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે ‘મ્યુકર માઈકોસીસ’ને નોંતરું આપી રહ્યા છે. બીજી બાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી સારવાર ચાલી રહી છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીક દર્દીઓ ઉપર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે. તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ‘મ્યુકર માઈકોસીસ’ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શનની પણ હાલ તીવ્ર અછત જોવા મળી રહી છે.
બીમારીના શું છે લક્ષણો ? – સતત માથું દુ:ખવું – દેખાતું ઓછું થઈ જવું – દાંતમાં સતત ઝણઝણાટી થવી – નાક બંધ થઈ જવું – નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું – મોઢા ઉપર સોજો આવવો – નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી
‘મ્યુકર માઈકોસીસ’ની સારવારનો ખર્ચ હજારોથી લઈ કરોડો સુધી થવા જાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર મુશ્કેલ બની જાય છે.
કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકર માઈકોસીસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યારસુધી મ્યુકર માઇકોસીસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે. જેમાંથી 8 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે હજી 50 દર્દીઓ કતારમાં છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ રોગ મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
જોકે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હાલ છેલ્લા બે દિવસથી તેઓ આ રોગને નાથવા માટે મહેનત કરી રહ્યા હોય હાલ તેમાં ઘટાડો આવ્યો છે છતાં મ્યુકર માઇકોસીસમાં જોવા મળતા ફંગસ ઇન્ફેક્શનને દૂર કરવા માટે રોજની 5 થી 7 સર્જરી કરવી પડતી હોવાનું તેમનું જણાવવું છે..