Surat: પુણાના માધવબાગ બ્રિજને તોડવા મુદ્દે સ્થાનિકો અને કોર્પોરેશન સામસામે
દર વર્ષે ચોમાસામાં સુરતના પર્વતપાટિયા, લીંબાયત, ડુંભાલ, મગોબ સહિતના લીંબાયત ઝોન, ઉધના ઝોન સહિતના વિસ્તારોમાં ખાડી પુરની દહેશત રહે છે.
Surat: દર વર્ષે ચોમાસામાં સુરતના પર્વતપાટિયા, લીંબાયત, ડુંભાલ, મગોબ સહિતના લીંબાયત ઝોન, ઉધના ઝોન સહિતના વિસ્તારોમાં ખાડી પુરની દહેશત રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધતા વર્ષ 2020માં મીઠી ખાડી ચાર વખત ઓવરફ્લો થઈ હતી. જેના કારણે સારોલી, પર્વત પાટિયા સહિત મીઠી ખાડી કિનારાના વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળે છે.
વરસાદની સિઝન નજીક છે, ત્યારે સ્થાનિક લોકોને ખાડી પુરની દહેશત સતાવી રહી છે. તેવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને મેયર હેમાલી બોઘાવાળા સહિત અધિકારીઓએ ગઈકાલે જ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.
પર્વત પાટિયા વિસ્તારમાં માધવબાગ સોસાયટી નજીક ખાડી પર એક પુલ બનાવવામાં આવ્યો છે, જે જર્જરિત થઈ ગયો છે. પુલ નીચો હોવાના કારણે ખાડીનું પાણી માધવબાગ સોસાયટીમાં ઘુસી જાય છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે અધિકારીઓને આ પુલ તોડીને નવો પુલ બનાવવા સૂચના આપી છે. નજીક આવેલા મામા નગરમાં પાણી ન ભરાય તે માટે તેમણે ડી વોટરિંગ પંપ મુકવા પણ સૂચના આપવામાં આવી છે.
જો કે આ નિર્ણય બાદ આજે માધવબાગ સોસાયટીના લોકો વિરોધ કરવા બ્રિજ પર ભેગા થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે આ પુણા ગામ વિસ્તારમાં ખાડી ઓળંગવા માટે આ એકમાત્ર જ બ્રિજ છે. જો તેને તોડી નાખવામાં આવે તો લોકોને ખૂબ મુશ્કેલી પડશે. આ બ્રિજના કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ શક્ય બને છે.
નોંધનીય છે કે હાલ કોરોનાના કારણે સુરત મહાનગરપાલિકાનું આખું તંત્ર કોરોનાની કામગીરીમાં જોડાયેલું છે તો બીજી તરફ ચોમાસાએ દસ્તક દેતા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં ન આવી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવશે.