Surat: કડોદરા આગ હોનારત, કંપનીના માલિક અને મેનેજરની ધરપકડ
પોલીસ દ્વારા મોડી રાત્રે વિવા પેકેજીંગ કંપનીના માલિક જનક મધુભાઈ જોગાણી અને શૈલેષ વિનુભાઈ જોગાણી તેમજ મેનેજર દિનેશ નાથાલાલ વઘાસીયા સહિત ત્રણ વિરુદ્ધ સાપરાધ માનવ વધનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરત (Surat) જિલ્લાના કડોદરા ખાતે ગઈકાલે પેકેજીંગ કંપનીમાં ભીષણ અગ્નિકાંડમાં બે મજૂરોના મોત અને 50 થી વધુ કામદારો ઘાયલ થવાની ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં કંપનીના માલિક અને મેનેજર સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પૈકી આજે સ્થાનિક પોલીસ દ્વારા માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજી પણ વોન્ટેડ છે.
મોડી રાત્રે પાંચ માળની વિવા પેકેજીંગ (Viva Packaging) નામની ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે કંપનીના માલિકો દ્વારા ફાયર સેફટી અને ઈમરજન્સી એક્ઝિટ જેવી બાબતોમાં ગંભીર લાપરવાહી દાખવવામાં આવતા બેઝમેન્ટમાં એક કર્મચારી જીવતો ભૂંજાઈ ગયો હતો. જ્યારે ચોથા માળેથી જીવ બચાવવા માટે છલાંગ લગાવનાર એક અન્ય કર્મચારીનું કરુણ મોત નીપજ્યું હતું,
તક્ષશિલા દુર્ઘટનાની યાદ તાજી કરાવી દે તેવી આ ઘટનામાં પોલીસ દ્વારા મોડી રાત્રે વિવા પેકેજીંગ કંપનીના માલિક જનક મધુભાઈ જોગાણી અને શૈલેષ વિનુભાઈ જોગાણી તેમજ મેનેજર દિનેશ નાથાલાલ વઘાસીયા સહિત ત્રણ વિરુદ્ધ સાપરાધ માનવ વધનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી, જે પૈકી આજે વહેલી સવારે સ્થાનિક પોલીસ દ્વારા માલિક શૈલેષ જોગાણી અને મેનેજર દિનેશ વઘાસીયાની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે જનક જોગાણી હાલમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ દ્વારા હવે એફ.એસ.એલના રિપોર્ટને આધારે ફરિયાદમાં વધુ કલમોનો ઉમેરો કરવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે, નોંધનીય છે કે આ ઘટના બની ત્યારે ફેકટરીમાં રાત પાળી દરમ્યાન 350 જેટલા કર્મચારીઓ કાર્યરત હતા. જે પૈકી 125 જેટલા કામદારોનું ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક ક્રેઈન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,
ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી જાનહાની થતા અટકી હતી, જોકે આ ઘટનાએ તક્ષશિલા દુર્ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. ફેકટરીમાં ફાયરસેફટીના સાધન તેમજ આગ અકસ્માત સમયે ઈમરજન્સી એક્ઝિટ મામલે કંપનીના સંચાલકો દ્વારા ગંભીર બેદરકારી બતાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને બે વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : હીરો ચમક્યો, છ મહિનામાં હીરાની નિકાસ 19,442 કરોડ વધી
આ પણ વાંચો : Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત