સુરત : નોનવેજ લારીઓ હટાવવા મુદ્દે SMCનો મહત્વપૂર્ણ નિર્ણય , જાણો શું છે આ નિર્ણય
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે નોનવેજ, ઈંડા કે વેજની લારીઓ બાબતે કોઈ વિવાદ જ નથી. પ્રશ્ન દબાણનો જ છે. જો રસ્તાને કે ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હશે તો તેને ચોક્કસથી દૂર કરવામાં આવશે.
અમદાવાદ,રાજકોટ અને વડોદરામાં ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંડા અને નોનવેજની દૂર કરવા માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નહિ આવ્યો હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવી તે બાબતે પાલિકા દ્વારા હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ જો ટ્રાફિક સમસ્યા ઊભી થતી હશે અને રાહદારીઓને નડતરરૂપ થતી હશે તેવી લારીઓ ચોક્કસથી દુર કરવામાં આવશે.
રસ્તાઓ પર લારીઓ પર દબાણના કારણે રાહદારીઓ અને ભારે મુશ્કેલી સર્જાય છે. અથવા તો તેના કારણે રસ્તો બંધ થતો હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં. નોંધનીય છે કે રાજકોટ, વડોદરા અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર લારીઓ ઊભી રાખવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે નોનવેજ, ઈંડા કે વેજની લારીઓ બાબતે કોઈ વિવાદ જ નથી. પ્રશ્ન દબાણનો જ છે. જો રસ્તાને કે ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હશે તો તેને ચોક્કસથી દૂર કરવામાં આવશે.
આ કામગીરી પાલિકા દ્વારા રોજેરોજ કરવામાં આવે જ છે. જોકે વિવાદથી બચવા હવે કોર્પોરેશન આ અંગે કોઈ ફોડ પાડવા તૈયાર નથી થઈ રહી. જોકે સુરત માં ઈંડા કે નોનવેજની લારી પર પ્રતિબંધ મુકાશે કે નહીં તે અંગે અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે.
અન્ય મહાનગરપાલિકાની જેમ સુરતમાં પણ જો પ્રતિબંધ મુકાય તો શું થાય તેને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે જો સુરતમાં પ્રતિબંધ આવે તો પછી આવનારી ચૂંટણીમાં તેના પરિણામ પર અસર થશે. અન્ય એક યુઝર લખે છે કે જો સુરતમાં ઈંડા-નોનવેજ પર પ્રતિબંધ આવે તો સુરતીઓ ગોટાળાના અસ્તિત્વ માટે લડાઈ ચાલુ કરી દેશે.