Surat : જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય વિષયોના 310 શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર
આ ખાલી જગ્યાઓ ભરવા માટે નિયામક સામે સમયાંતરે માંગણી કરવા છતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું ઉદાસીન વલણ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) શિક્ષણને (Education ) સશક્તિકરણનું માધ્યમ ગણાવી રહ્યા છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય વિષયોના 310 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે.
કોરોના મહામારી 23 શિક્ષકોને ભરખી ગઈ તે જગ્યા પણ ખાલી : આ ખાલી જગ્યાઓ ભરવા માટે નિયામક સામે સમયાંતરે માંગણી કરવા છતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું ઉદાસીન વલણ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લા પંચાયત હસ્તકની 937 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 4600 શિક્ષકોનું મહેકમ છે, જે પૈકી હાલમાં 4290 શિક્ષકોનું મહેકમ ભરાયેલું છે. આ ઉપરાંત વેશ્વિક મહામારી કોરોનામાં જિલ્લાની પ્રાથમિક શાળાના 23 જેટલા શિક્ષકોને કોરોના ભરખી ગયો છે, ઉપરાંત વયમર્યાદાના કારણે કેટલાક શિક્ષકો નિવૃત પણ થયા છે.
ગણિત, વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના જ શિક્ષકોની ઘટ : સરકારી પ્રાથમિક શાળામાં મુખ્યત્વે ધોરણ 6 થી 8ના ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના વિષયોના 310 જેટલા શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની લાંબા સમયથી ઘટ હોવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષણ ઉપર ભારે અસર થતી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા હવે તો એવા મુદ્દા પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે રાજ્ય સરકારમાં હવે સુરતના ત્રણ ધારાસભ્યોને મંત્રીપદનું સ્થાન મળ્યું છે, ત્યારે શિક્ષકોની આ ઘટ મુદ્દે તેમના દ્વારા પણ વિચાર કરવામાં આવે.
મંત્રીઓએ શાળાઓ શરૂ થતા હવે ઉચ્ચસ્તરે આ બાબતે રજૂઆતો કરવાની જરૂર છે, અને આ ઘટ પૂર્વનો પ્રયાસ કરવાની પણ જરૂર છે. કેરળ સહિતના અન્ય રાજ્યોમાં પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ઘટનનો મહત્વનો પ્રશ્ન હલ કરવા માટેનો નિર્ણય લેવામાં આવતો નથી. જો શિક્ષકોની નમણૂક કરવામાં આવે તો જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે અને શિક્ષકોની ઘટને લીધે શિક્ષણ પર થતી વિપરીત અસર નિવારી શકાય તેમ છે, અને શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવી શકાય તેમ છે.
આ પણ વાંચો : Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી
આ પણ વાંચો : Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, એક કામદારનું મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો