Surat : કોરોના મહામારીમાં ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર કોર્પોરેશનના 44 પૈકી 35 કર્મચારીઓના પરિવાર હજુ સહાયથી વંચિત
તે સમયે સુરત મનપાના પણ કર્મચારીઓએ દિવસ રાત સમય જોયા વગર લોકોને મહામારીથી બચાવવા જાગૃત કરવા મહેનત કરી હતી.
કોરોનાની(corona ) પહેલી અને બીજી લહેરમાં પાલિકાના(smc) 24 હજાર કર્મચારીઓએ એકપણ દિવસની રજા લીધા વિના દિવસ રાત કામ કર્યું હતું. કોરોનાની મહામારી દરમ્યાનની આ કામગીરી વખતે સુરત મહાનગરપાલિકાના 44 જેટલા કર્મચારીઓના મૃત્યુ પણ થયા હતા. આ 44 કર્મચારીઓ પૈકી 35 કર્મચારીઓને આજદિન સુધી સહાય મળી શકી નથી. દુઃખની વાત એ છે કે આ કર્મચારીઓને આર્થિક સહાય ચુકવવાની ફાઈલ ગાંધીનગરમાં ધૂળ ખાઈ રહી છે.
માર્ચ 2020માં કોરોના મહામારીએ ભરડો લીધો હતો. મહામારી જાહેર થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના તમામ 24 હજાર કર્મચારીઓની રજા રદ્દ કરી દઈને તમામને કોરોનાની કામગીરી સોંપવામાં આવી હતી. આરોગ્ય ખાતાની સાથે સાથે ટેક્નિકલ અને નોન ટેક્નિકલ કેડરના પણ તમામ કર્મચારીઓને કોરોના સંદર્ભની કામગીરી આપવામાં આવી હતી.
તે સમયે સુરત મનપાના પણ કર્મચારીઓએ દિવસ રાત સમય જોયા વગર લોકોને મહામારીથી બચાવવા જાગૃત કરવા મહેનત કરી હતી. આ કામગીરી દરમ્યાન છેલ્લા દોઢ વર્ષમાં 44 કર્મચારીઓના કોરોનાના કારણે જીવ પણ ગુમાવ્યા હતા. આ પૈકી એસઆઈ , એસ.એસ.આઈ સહિતના આરોગ્ય કર્મમચારીઓ કોરોનાની સીધી કામગીરીમાં સંકળાયેલા હતા. જયારે અન્ય કેડરના કર્મચારીઓ કોરોના સિવાયની કામગીરી માટે જોડાયેલા હતા.
તમામ કર્મચારીઓ ફિલ્ડ ડ્યુટી દરમ્યાન કોરોનાનો ભોગ બન્યા હોવાથી રાજ્ય અને કેદ્ર સરકારે જાહેર કરેલી સહાયને લાયક હતા. કોરોનાની સીધી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે 50 લાખના વિમાની જાહેરાત કરી છે. જયારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે 25 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. સુરત મહાનગરપાલિકાએ કોરોનાનો ભોગ બનેલા 44 કર્મચારીઓની ફાઈલ રાજ્ય સરકારને મોકલી આપી છે. જે પૈકી ફક્ત 9 કર્મચારીઓને જ મળવાપાત્ર સહાય મળી છે. જયારે બાકીના 35 કર્મચારીઓ હજી પણ સહાયથી વંચિત છે.
તમામ કવેરીના જવાબ આપ્યા છતાં સહાય આપી નથી ગાંધીનગરથી દરેક ફાઈલ સાથે સંખ્યાબંધ કવેરી પણ મોકલવામાં આવી છે. પાલિકાએ તમામ કવેરીનો જવાબ કરી દીધો છે. પરંતુ સહાય ક્યારે મળશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોરોનાની કામગીરી દરમ્યાન મહામારીનો ભોગ બનેલા કર્મચારીઓના પરિવારજનોને આટલા મહિનાઓ પછી પણ સહાય નહીં ચુકવતા પાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો : Surat : બારડોલી બેન્ક લૂંટ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓના સ્કેચ જાહેર કરાયા
આ પણ વાંચો : Surat : ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશનના ધાંધિયા, કામદારોમાં પણ હજી જાગૃતિનો અભાવ