Surat : માસ પ્રમોશન બાદ યુનિવર્સીટીએ બેઠકો વધારી છતાં હજી પણ 47 ટકા બેઠકો ખાલી
પ્રથમ રાઉન્ડમાં 38.84 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હતા. અને 47 ટકા બેઠકો ખાલી પડી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી(VNSGU) સંલગ્ન કોલેજો અને વિભાગોમાં સ્નાતકના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા (Admission )ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ 38.84 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હતા. અને 47 ટકા બેઠકો ખાલી પડી છે. ધોરણ 12માં માસ પ્રમોશન અપાયું હોય વિદ્યાર્થીઓની સ્નાતક સંખ્યા વધશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જે હાલ પૂરતું ખોટું પડે તેવું લાગી રહ્યું છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સ્નાતકના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાને બે મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. બી.કોમ માટે 34,924, બીબીએ માટે 7,969, બીસીએ માટે 13,132, અને બીએસસી માટે 20,820 મળીને કુલ 76,845 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે માટેની બેઠકો અનુક્રમે 32,966, 4125, 6460 અને 12,550 મળીને કુલ 56,101 બેઠકો છે.
16મી ઓક્ટોબરના રોજ બીકોમમાં 17,343, બીબીએમાં 2821, બીસીએમાં 4109 અને બીએસસીમાં 5571 મળીને કુલ 29,844 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હતા, જેટલા ફોર્મ ભરાયા છે તેના 38.84 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હતા, અને હજી 47 ટકા બેઠકો ખાલી પડી છે.
કોરોના મહામારીના કારણે શક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કે ગુજરાત બોર્ડનું 100 ટકા પરિણામ જાહેર થયું હતું. માસ પ્રમોશનને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા વર્ષ 2021-22 માટે વિવિધ વિદ્યાશાખાની બેઠકો વધારવામાં આવી હતી.
જોકે બેઠકો વધારવા છતાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાની હજી 47 ટકા બેઠકો ખાલી હોવાની માહિતી સામે આવી રહી છે. હજી પણ પ્રવેશ પ્રક્રિયા કોલેજોમાં ચાલી રહી છે. ધોરણ 12માં માસ પ્રમોશન આપ્યા બાદ વર્ષ 2021-21માં વિવિધ અભ્યાસક્રમોની કુલ 47,350 બેઠકો હતી, જે વધારીને 2021-22માં 56,101 કરવામાં આવી છે, આમ બેઠકોમાં 8751 બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો.
જોકે તેમ છતાં અત્યારસુધી બીએસસી, બીબીએ, બીસીએ અને બીકોમમાં 39 ટકા જ પ્રવેશ આપવામાં આવ્યો છે, કુલ 56,101 બેઠકોમાંથી હજી 29,844 વિદ્યાર્થીઓએ જ ઓનલાઇન પ્રવેશ કન્ફ્રર્મ કરાવ્યા છે. જોકે હજી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે જોવાનું રહે છે કે હજી કેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોલેજોમાં પ્રવેશને કન્ફ્રર્મ કરાવવામાં આવે છે.