Surat : સુરત કોર્પોરેશનને વધુ એક SRPની કંપની ફાળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય, વધુ 100 જવાનો ઉપલબ્ધ રહેશે
રાજ્ય સરકારે તાજેતરમાં જ એસ.આર.પી.ના 50 જવાનો મહાનગરપાલિકાને ફાળવ્યા હતા. ત્યારે વધુ એક કંપની ફાળવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.
રખડતા ઢોરની (Stray Cattles) સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે રાજ્યભરમાંથી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ રખડતા ઢોરોની સમસ્યા ખુબ વિકટ છે. ઘણા વિસ્તારોમાં આ સમસ્યાને કારણે ઘણા રોડ અકસ્માતની દુર્ઘટનાઓ પણ સર્જાય છે.
સુરત મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવને કારણે ઘણી વખત કામગીરી થઈ શકતી નથી. એટલું જ નહીં અસંખ્ય વાર માથાભારે પશુપાલકો દ્વારા પાલિકાના સ્ટાફ પર હુમલો કરવાની ઘટના પણ અવારનવાર બનતી હોય છે.
રાજ્ય સરકારે તાજેતરમાં જ એસ.આર.પી.ના 50 જવાનો મહાનગરપાલિકાને ફાળવ્યા હતા. ત્યારે વધુ એક કંપની ફાળવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. આગામી દિવસોમાં એસ.આર.પીના વધુ 100 જવાનો બંદોબસ્ત માટે સુરત મહાનગરપાલિકાને ઉપલબ્ધ થશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા મૂળ એસ.આર.પી.ની બે કંપનીઓ એટલે કે 200 જવાનોની માંગણી રાજ્ય સરકાર પાસે છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહી હતી. પરંતુ હર્ષ સંઘવીના ગૃહમંત્રી બન્યા બાદ ગણતરીના દિવસોમાં જ 50 જવાનો ફાળવવામાં આવ્યા હતા અને હવે સરકાર દ્વારા વધુ એક કંપની 100 એસ.આર.પી. જવાનો ફાળવણી માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
પૂરતી સંખ્યામાં એસ.આર.પી. જવાનો ઉપલબ્ધ થતા હવે રખડતા ઢોર પકડવા, જાહેર માર્ગો પરનું દબાણ દૂર કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી માટે મહાનગરપાલિકાએ અટકવું પડશે નહીં અને બંદોબસ્ત માટે હવે મહાનગરપાલિકાએ પોલીસ પર અવલંબિત રહેવું પડશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા રોડ પર રહેતા ઘરવિહોણા ભિક્ષુકોને પણ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મનપા દ્વારા સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં પણ એસ.આર.પીની ટીમનો ઉપયોગ મહાનગરપાલિકા કરી શકશે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. પશુપાલકો ઢોરોને રસ્તા પર છોડી દેતા હોય છે અને અકસ્માતનું પ્રમાણ ખુબ વધી ગયું છે. રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન મહાનગરપાલિકાના કર્મચારીઓ પર વારંવાર જીવલેણ હુમલો થવાની ઘટના બનતા સુરત મનપાએ રાજ્ય સરકાર પાસે 100 એસ.આર.પી.જવાનોની માંગણી કરી હતી.
જે બાદ કોર્પોરેશનને 50 જવાનોની ટીમ ફાળવવામાં આવી છે. મનપાને કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મળતા છેલ્લા બે અઠવાડિયાથી મનપાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat : મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર સુરતમા, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ