Surat : પુણા વિસ્તારની બે સોસાયટીઓમાં રાજકીય પક્ષ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર ફોટોસેશન માટે આવતા કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારમાં સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ધરાર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation )દ્વારા મહાત્મા ગાંધીજીના 152માં જન્મોત્સવના અવસરે શહેરભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે પુણા ખાતે આવેલી બે સોસાયટીઓના રહેવાસીઓએ પારાવાર ગંદકી અને મચ્છરોજન્ય રોગને નોતરૂં આપતી ખાડીની સફાઈ અભિયાન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ખાડીની સફાઈના અભાવે સ્થાનિકોની હાલત કફોડી થવા પામી છે. જેને પગલે આજરોજ સોસાયટીના રહેવાસીઓ દ્વારા રાજકીય પક્ષોના પ્રવેશ નિષેધની ચેતવણી સાથેના બેનરો લગાવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલ હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાડીની સફાઈ મુદ્દે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. પારાવાર ગંદકી અને મચ્છરોના અસહ્ય ત્રાસને લીધે આ વિસ્તારમાં ઝાડા – ઉલ્ટી સહિતનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે સ્થાનિકોએ શાસકો વિરૂદ્ધ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર ફોટોસેશન માટે આવતા કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારમાં સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ધરાર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ખાડી પ્રશ્ન સંદર્ભે છાશવારે વહીવટી તંત્ર અને શાસકો સમક્ષ રજુઆત કરવા છતાં આ મુદ્દે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી કંટાળીના સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે મેઈન ગેટ પર બેનરો લગાવીને કોઈપણ રાજકીય પક્ષના નેતા – કાર્યકરને પ્રવેશ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.
આ સંદર્ભે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, 2006માં આ વિસ્તારનો મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આજ દિન સુધી આ વિસ્તારમાં ખાડી સફાઈ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ચુંટણી દરમ્યાન મોટી – મોટી વાતો કરનારા રાજકીય પક્ષો દ્વારા આ વિસ્તારની અવગણના કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ શાસકો અને વહીવટી તંત્ર વિરૂદ્ધ આજે સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આપ વિરૂદ્ધ પણ આક્રોશ હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં વસતા ત્રણેક હજાર જેટલા નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમ રૂપ ખાડી સફાઈ મુદ્દે લોકોએ આજે વિરોધ પ્રદર્શન દરમ્યાન આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પણ આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાની ચુંટણીમાં ખોબલે ખોબલે મત આપ્યા છતાં આપના નગર સેવકો માત્ર ફોટો સેશન અને સસ્તી પ્રસિદ્ધિ માટે જ કામગીરી કરી રહ્યા છે અને આ વિસ્તારમાં સફાઈ સહિતના પ્રશ્નો મુદ્દે પણ આપના નગર સેવકો દ્વારા કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી રહી નથી.
આ પણ વાંચો: Amreli: સિંહોના ટોળાએ 50 ઘેટાંને મોતને ઘાટ ઉતાર્યા, માલધારી પરિવાર ઉપર આવી મોટી આફત
આ પણ વાંચો: ‘પાકિસ્તાનમાં આતંકવાદીઓ હાજર છે, એર સ્ટ્રાઇક કરીને તેમને ખતમ કરવાનો અમને પૂરો હક છે’ : અમેરીકા