Surat : સુરતનું એક એવું ગોવિંદા મંડળ જેણે સભ્યોના ઇન્સ્યોરન્સની તમામ રકમ કોરોના સમયમાં સેવા માટે વાપરી
સુરતના એક ગીવીંદ મંડળે સભ્યોના વિમાની રકમ કોરોના સમયમાં સેવા માટે વાપરી માનવતા મહેકાવી છે.
સુરતમાં દરેક તહેવારોની (Festival) ઉજવણી ખુબ ધામધૂમ પૂર્વક અને અનોખી રીતે કરવામાં આવે છે. તહેવારોની ઉજવણીની સાથે સાથે સુરતીઓ સેવાના કાર્યમાં પણ હમેશા આગળ રહ્યા છે. તહેવાર દરમ્યાન રક્તદાન કેમ્પ હોય કે અન્ય કોઈ સેવાકીય કાર્ય સુરતીઓ માનવતાની મહેક પ્રસરાવતા રહ્યા છે.
આગામી દિવસોમાં હવે જન્માષ્ટમીનો (Janmashtmi) પર્વ આવી રહ્યો છે. આ પર્વ પર શેરીઓ અને ગલીઓમાં દહીં હાંડી (Dahi Handi) ફોડવામાં આવે છે. ગોવિંદ મંડળો ટોળકીઓ બનાવીને નીકળી પડે છે અને મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લે છે. પરંતુ આજે વાત કરવી છે સુરતના એક એવા ગોવિંદ મંડળની જેણે પોતાના સભ્યોના ઇન્સ્યોરન્સની રકમ છેલ્લા બે વર્ષમાં કોરોનાના દર્દીઓની સેવા માટે જ વાપરી છે.
આવું જ એક મંડળ છે સુરતનું ગલેમંડી ફેસ્ટિવલ મંડળ. જેને અત્યાર સુધી તેમના સભ્યો માટે રાખેલા ઇન્સ્યોરન્સની તમામ રકમ કોરોનાની બીજી લહેર દરમ્યાન દર્દીઓની સેવા માટે વાપર્યા છે.
સુરતના લોકોની ઓળખ મોજીલા સ્વભાવ માટેની છે. પરંતુ જયારે તહેવારોની વાત આવે ત્યારે ઉત્સવ ઉજવવાની સાથે સાથે તેઓ સેવાના કાર્ય માટે પણ તેટલા જ જાણીતા છે. સુરતમાં તહેવારો પાછળ ધૂમ ખર્ચા કરવામાં આવે છે તે વાતમાં કોઈ શંકા નથી. પરંતુ તહેવારોમાં જે ભંડોળ એકત્ર થાય છે તે તમામ રકમ પણ સેવાના કાર્ય માટે જ વાપરવામાં આવે છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ સુરતના ગોવિંદા મંડળે પૂરું પાડ્યું છે.
ગલેમંડી ખાતે આવેલું ગલેમંડી ફેસ્ટિવલ મંડળ દ્વારા તેમના સભ્યો માટે એકત્ર કરેલ વિમાની રકમ કોરોનાના દર્દીઓની સેવા પાછળ ખર્ચી છે. ઇન્સ્યોરન્સની (Insurance) લગભગ સાત લાખ જેટલી રકમ કોરોનાના (Corona) દર્દીઓ અને ભોજન સેવા માટે તેમના દ્વારા આપવામાં આવ્યા છે.
ગલેમંડી ફેસ્ટિવલ મંડળના જીતેશભાઈ ઘીવાલાનું કહેવું છે કે તેઓ દર વર્ષે જન્માષ્ટમીમાં વિવિધ સોસાયટી અને શેરીઓમાં મટકી ફોડતા હોય છે. તેમના મંડળમાં 150 જેટલા સભ્યો છે. મટકી ફોડવામાં જેટલું પણ ભંડોળ એકત્ર થાય છે. તેને તેઓ સભ્યોના વિમા, ઘરના ઇમરજન્સી કામમાં, આકસ્મિક ખર્ચાઓ અને મેડીકલ સુવિધાઓ પાછળ વાપરતા હોય છે. અત્યાર સુધી તેમના દ્વારા સાત લાખ જેટલું ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મટકી ફોડનો કાર્યક્રમ શક્ય બન્યો નહોતો. તેથી સભ્યો દ્વારા નક્કી કરાયું કે ભંડોળની જેટલી પણ રકમ એકત્ર થાય તે તમામ રકમ કોરોનાના સમયમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે. કોરોનના સમયમાં આ મંડળે દર્દીઓની સેવા માટે અને 800 થી વધુ લોકોને ભોજન કરાવવા પાછળ આ રકમ વાપરી છે. આ વર્ષે કોરોનના કેસો ઘટ્યા છે ત્યારે તંત્ર દ્વારા નાના પાયે મટકી ફોડ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવે તેવી માંગણી તેમને કરી છે.