Surat : દ.ગુજરાતની 6 આર્કિટેક્ચર કોલેજમાં 76% બેઠકો ખાલી, સુરતમાં બે કોલેજમાં આંકડો શૂન્ય નોંધાયો
વિદ્યાર્થીઓની બી.આર્ક પ્રત્યે ઉદાસીનતા જોયા બાદ કોલેજ મેનેજમેન્ટ અને વહીવટીતંત્રે પોતાની નીતિઓનો ફેર વિચાર કરવો પડે તેવી નોબત આવીને ઉભી છે.
રાજ્ય સરકારની એડમિશન કમિટી ફોર બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch.) દ્વારા પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યભરમાં ખાલી પડેલી બેઠકોની કોલેજવાર માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આવેલી બી.આર્ક. અભ્યાસક્ર્મની કુલ 6 કોલેજોની સ્ટેટ ક્વોટાની 326 બેઠકો પૈકી ફક્ત 77 બેઠકો પર જ પ્રવેશાર્થીઓ મળી શક્યા છે. જયારે બાકીની 249 બેઠકો પર એટલે કે 76 ટકા જેટલી સીટો ખાલી રહેવા પામી છે.
વિદ્યાર્થીઓની બી.આર્ક પ્રત્યે ઉદાસીનતા જોયા બાદ કોલેજ મેનેજમેન્ટ અને વહીવટીતંત્રે પોતાની નીતિઓનો ફેર વિચાર કરવો પડે તેવી નોબત આવીને ઉભી છે. એક સમયે બી.આર્ક કોલેજમાં પ્રવેશ માટે જે કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટાની બેઠક સામે લાખો રુપિયા લીધા હતા. એ કોલેજોની હાલત આજે ગણતરીના વર્ષોમાં એવી થઇ ગઈ છે. કે એક એક પ્રવેશાર્થી માટે ટટળવું પડી રહ્યું છે.
સુરતની સ્કેટ કોલેજ કે જે ગુજરાતની ટોપ ત્રણ આર્કિટેક્ચર કોલેજમાં સમાવેશ થાય છે, ત્યાં પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાના અંતે 24 સીટો ખાલી પડી રહી છે. સુરતમાં આવેલી બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ચલાવતી 2 કોલેજોને પ્રવેશાર્થીઓએ સંપૂર્ણપણે રિજેક્ટ કરી લીધી છે. ત્યાં સુધી કે એકેય વિદ્યાર્થી સુરતની આ બે કોલેજોમાં પ્રવેશ મેળવવા તૈયાર નથી.
ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં 100 ટકા સીટો ખાલી ગુજરાત સરકારે બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટે રચેલી એડમિશન કમિટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં સુરતની પ્રાઇવેટ યુનિવર્સીટી ભગવાન મહાવીર કોલેજમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્ટેટ ક્વોટાની કુલ 90 સીટો પ્રવેશ માટે મુકવામાં આવી હતી. આ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કે ગુજરાતની અધર બોર્ડની સ્કૂલોના એક પણ વિદ્યાર્થીએ ચોઈસ ફાઈલિંગ કર્યું નથી. જેના કારણે 90 માંથી 90 સીટો ખાલી પડી રહી છે.
વેસુની વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજમાં પણ એકપણ વિદ્યાર્થી પ્રવેશ માટે રાજી નથી એ જ રીતે સુરતના વેસુમાં આવેલ વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચર સાથે પણ આવું જ થયું છે. આ કોલેજ પહેલા ફક્ત કન્યાઓ માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં કોઈ વિદ્યાર્થીઓ ન મળતા પછી તેને સામાન્ય કોલેજ બનાવી દેવામાં આવી હતી. પછી પણ કોઈ પ્રવેશાર્થી આ કોલેજમાં પ્રવેશ માટે રાજી નથી.
આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ