Surat: સુરતથી સૌરાષ્ટ્ર માટે બુકિંગના પહેલા જ દિવસે 312 એસ.ટી. બસનું બુકીંગ, તંત્રને પણ 52 લાખની આવક
સુરતથી દિવાળી કરવા વતનમાં જતા ગરીબ મધ્યમવર્ગીય પરિવારોએ લકઝરી બસના આકરા ભાડાના બોજ સહન કરવો ન પડે તે માટે એસ.ટી. તંત્રે સિંગલ સાઈડ, વન વે ભાડું વસુલ કરીને તેમના વતનમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે.
આગામી દિવાળીના તહેવારોમા સસ્તા ભાડામાં સુરતમાં કામ કરી રહેલા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વતનીઓ પોતાના વતન જઈ શકે તે માટે સુરત એસ.ટી.વિભાગ દ્વારા કુલ 1100 સ્પેશ્યલ બસ ટ્રિપની જોગવાઈ કરી છે. દિવાળી વેકેશન ટ્રિપની બુકીંગ શરૂ થવાના પહેલા જ દિવસે એસટી તંત્રને કુલ 312 બસોનુ બુકીંગ મળી ચૂક્યું છે. અને આ બુકીંગ પેટે રૂ. 52 લાખની આવક પણ પહેલા જ દિવસે નોંધાઈ ચુકી હોવાનું જણાવવામાં આવ્યું છે.
જીએસઆરટીસી સુરતના રિજિયોનલ મેનેજરના જણાવ્યા પ્રમાણે દિવાળીના તહેવારોમાં સુરતથી લોકો પરિવાર સહિત પોતાના વતન સૌરાષ્ટ્ર, ઉત્તર ગજરાત, અમદાવાદ, પંચમહાલ, વગેરે સ્થળ પર સરળતાથી, સસ્તા દરે જઈ શકે તે માટે એસ.ટી. તંત્રના સુરત વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરી છે. તારીખ 29 ઓક્ટોબરથી તારીખ 4 નવેમ્બર સુધીના દિવસોમાં સાંજે 4 કલાકથી રાત્રે 11 કલાક દરમ્યાન સુરતના લંબેહનુમાન રોડ સ્થિત એસ.ટી. ડેપો ખાતેથી દિવાળી સ્પેશ્યલ એસ,ટી.બસોની ટ્રીપ ઉપડશે.
એસ.ટી.તંત્રે સુરતથી લોકોને પોતાના વતનમાં પહોંચાડવા માટે કુલ 1100 બસ ટ્રિપની જોગવાઈ કરી છે. ગઈકાલથી દિવાળી સ્પેશ્યલ એસ.ટી. ટ્રીપ માટે બુકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. અને ગણતરીના કલાકોમાં જ કુલ 312 જેટલી બસ ટ્રિપોનું બુકીંગ એસ.ટી. વિભાગને મળી ચૂક્યું હતું. મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો માટે એસ.ટી. બસનું બુકીંગ પહેલા જ દિવસે મળ્યું છે. પહેલા જ દિવસે 312 બસોની ટ્રીપના બુકીંગ પેટે એસ.ટી.તંત્રને કુલ રૂ.52 લાખની આવક પણ થવા પામી છે.
સિંગલ સાઈડનું ભાડું વસૂલાશે : સુરતથી દિવાળી કરવા વતનમાં જતા ગરીબ મધ્યમવર્ગીય પરિવારોએ લકઝરી બસના આકરા ભાડાના બોજ સહન કરવો ન પડે તે માટે એસ.ટી. તંત્રે સિંગલ સાઈડ, વન વે ભાડું વસુલ કરીને તેમના વતનમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ભાડા પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રતિ મુસાફર અમરેલીનું ભાડું રૂ.315, સાવરકુંડલાનું રૂ.340, ભાવનગરનું રૂ.275, મહુવાનું રૂ.325, ગારીયાધારનું, રૂ.310, જૂનાગઢનું રૂ.345, અમદાવાદનું રૂ. 230, દાહોદનું રૂ.245 જેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
51 પેસેન્જર હશે તો ઘરેથી પીકઅપની વ્યવસ્થા : સુરતને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો દિવાળી વેકેશનમાં પરિવાર, મિત્રમંડળ સહિત વતનમાં જતા હોય છે. સમૂહમાં વતન જનારાઓ પૈકી જો કોઈ ગ્રુપ, પરિવાર, ગામવાસીઓનું 51 પેસેન્જરોનું બુકીંગ મળશે તો એસ.ટી.તંત્ર દ્વારા તેમને તેમના ઘરેથી પીક કરવાની સુવિધા પુરી પાડશે. અને આખી બસ મુસાફરોને નોન સ્ટોપ તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડશે.
આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ