Surat : 108 ના કર્મચારીઓએ ફરજની સાથે ઈમાનદારીની મિસાલ આપી, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનો કિંમતી સામાન પરત સોંપ્યો
ઈએમટી શબ્બીરભાઈ અને પાયલોટ કુંદનભાઈએ પોતાની ફરજ નિભાવવાની સાથે ઘનશ્યામભાઈ પાસેથી મળી આવેલ તમામ કિંમતી વસ્તુઓ પરિવારજનોને સહીસલામત પરત કરી હતી.
Surat : ચલથાણ ખાતે રહેતા યુવક અકસ્માતમાં ઘાયલ થતા તેને ઉગત લોકેશનની 108 એમ્બ્યુલેન્સ (108 Ambulance)દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.એટલુંજ નહીં ઘાયલ યુવક પાસેથી ત્રણ સોનાની વીંટી,ચેન અને રોકડ મળી 2.50 લાખથી વધુની મતા મળી આવી હતી.108 ના ઈએમટી અને પાયલોટએ પોતાની ફરજ નિભાવવાની સાથે કિંમતી વસ્તુઓ પણ પરિવારજનોને સહીસલામત પરત કરી ઈમાનદારીની (Honesty) મિસાલ આપી હતી.
ચલથાણ પલસાણા ખાતે રહેતા 38 વર્ષીય ઘનશ્યામભાઈ રો-રો ફેરી જહાજમાં ભાવનગરથી સુરત આવ્યા હતા અને ગઈ કાલે રાત્રે રો-રો ફેરીથી હજીરા ખાતે પહોંચ્યા બાદ ત્યાંથી એકટીવા લઈને પોતાના ઘરે જઈ રહયા હતા.ત્યારે હજીરા રોડ પર અકસ્માત થતાં માથાના ભાગે ઇજા થતાં બેભાન થઈ ગયા હતા.
આ અંગે કોલ મળતા ઉગત લોકેશનની 108 એમ્બ્યુલન્સના ઇએમટી શબ્બીર ખાન અને પાયલોટ મુકુંદભાઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.ત્યારે ઘાયલ ઘનશ્યામભાઈ પાસેથી ઈએમટી શબ્બીરભાઈને 61 હજાર રોકડા,સોનાની 3 વીંટી,સોનાની 1 ચેન,ચાંદીની વીંટી, 2 ઓબાઇલ ફોન અને એટીએમ કાર્ડ સહીત 2.50 લાખ જેટલાની કિંમતી વસ્તુઓ મળી આવી હતી.
દર્દી સાથે કોઈ સગા વહાલા નહીં હોવાથી 108ના કર્મચારીઓએ આ તમામ કિંમતી વસ્તુઓ પોતાની પાસે સુરક્ષિત સાચવી રાખી હતી તેમજ ઘાયલ ઘનશ્યામભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.ત્યાર બાદ તેમના પરિવારજનોનો સંપર્ક કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા.
ત્યારે ઈએમટી શબ્બીરભાઈ અને પાયલોટ કુંદનભાઈએ પોતાની ફરજ નિભાવવાની સાથે ઘનશ્યામભાઈ પાસેથી મળી આવેલ તમામ કિંમતી વસ્તુઓ પરિવારજનોને સહીસલામત પરત કરી હતી.108 ના કર્મચારીઓની નૈતિકતા જોઈને દર્દીના પરિવારજનોની આંખમાં ખુશીના આંસુ આવ્યા હતા. અને 108 ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ સુરત 108 પ્રોગ્રામ મેનેજર ફયાજ પઠાણ અને ઇએમઇ રોશન દેસાઈએ આ બંને કર્મચારીઓની ઈમાનદારીને બિરદાવી હતી.
આ પણ વાંચો : Ranji Trophy: ટીમ ઇન્ડિયામાં નેટ બોલીંગ કરતા ગુજરાતના બોલરે કર્યો કમાલ, પાંચ શિકાર કરી હરીફ ટીમને ધરાશાયી કરી દીધી