Anand: વિદ્યાનગરના સ્વામિનારાયણ ગુરૂકુળમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરની મારપીટ, વાલીઓમાં ભભૂક્યો રોષ, પોલીસ આવી તો બાળકોને પુરી દીધાનો આક્ષેપ
એક પછી એક બાળકોએ વાલીઓને ફરિયાદ કરતા વાલીઓ આણંદની (Anand) આ શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની (Students) ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી ન કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.
આણંદ (Anand) જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (Swaminarayan Gurukul International School) વાલીઓએ હોબાળો કર્યો છે. વાલીઓ અચાનક જ સ્વામિનારાયણ ગુરુકુળમાં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ (Students) અને વાલીઓનો આક્ષેપ છે કે ગુરુકુળમાં મોટી ઉંમરના વિદ્યાર્થીઓ મારપીટ કરે છે. એટલુ જ નહીં સ્વામી પણ તેમને મારતા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ આ અંગે વાલીઓને ફરિયાદ કરતા વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. શાળા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રોષે ભરાયેલા વાલીઓ બાળકોને લેવા ગુરુકુળ પહોંચી ગયા હતા.
TV 9 ગુજરાતી સમક્ષ વાલીઓ, વિદ્યાર્થીઓ વર્ણવી ઘટના
TV 9 ગુજરાતીની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. ત્ચારે જોવા મળ્યુ હતુ કે રજૂઆત કરવા આવેલા વાલીઓને પણ સ્કૂલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહતા. એટલુ જ નહીં વાલીઓ આવ્યા ત્યારે બાળકોને બહાર પણ આવવા દેવામાં આવ્યા ન હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળા દ્વારા તેમના બાળકોને રુમમાં પુરી દેવામાં આવ્યા છે.તે દરમિયાન એક વિદ્યાર્થીએ જણાવ્ચુ કે, તેમને આ ગુરુકુળમાં સહેજ પણ સારુ નથી લાગતુ. તેમને શિક્ષક દ્વારા અપશબ્દો બોલવામાં આવે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે કોઇ એક શિક્ષક નહીં પણ અલગ અલગ શિક્ષકો દ્વારા આ કૃત્ય કરવામાં આવે છે. એટલુ જ નહીં તેમને ટોર્ચર કરવામાં આવતા હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.
વિદ્યાર્થીઓના આક્ષેપ
TV 9 ગુજરાતીની ટીમે એક વિદ્યાર્થી સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે, આત્મ સ્વરૂપ દાસ સ્વામીએ તેને માર્યુ હતુ. રુલ્સ ફોલો ન કરીએ અને તેમનું કહેલુ ન માનીયે તો તેમના દ્વારા મારવામાં આવે છે. ભોજનમાં જીવાત હોવા છતા અમને જમવા માટે મજબુર કરવામાં આવે છે. તો એક વિદ્યાર્થીએ તેમને વાળ પકડીને અને લોખંડના સળિયાથી મારવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યુ કે જો તેઓ વોર્ડનને ફરિયાદ કરે છે તો વોર્ડન તેમની વાત પર ધ્યાન આપતા નથી.
વાલીઓના આક્ષેપ
બીજી તરફ વાલીઓએ પણ TV9 સમક્ષ વાતચીત કરતા શાળા પર આક્ષેપ કર્યો હતો કે, ગુરુકુળમાં તેમના બાળકોને ભીના જ કપડા આપી દેવામાં આવે છે. જેના કારણે બાળકો ભીના જ કપડા પહેરવા મજબુર બને છે. મેનેજમેન્ટને ફરિયાદ કરીએ છીએ તો તે એવો જવાબ આપે છે કે બાળક અમને આ અંગે કઇ કહેતુ નથી.
એક વાલીએ જણાવ્યુ હતુ કે તેમના ત્રણ બાળકો આ ગુરુકુળમાં છે અને આ ત્રણેય બાળકો સાથે રોજ મારપીટ કરવામાં આવે છે. તેમને સમયસર નાસ્તો પણ આપવામાં આવતો નથી. વાલીએ કહ્યુ કે જ્યારે અમે અહીં રજુઆત કરવા આવ્યા છીએ ત્યારે સ્કૂલ મેનેજમેન્ટમાંથી કોઇ જ હાજર નથી.
પોલીસ અધિકારીઓ આપી ખાતરી
વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો કરતા એક પોલીસ કર્મચારી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કોઇ ઉચ્ચ પોલીસ અધિકારી આવીને સમગ્ર મામલે તપાસ કરશે તેમ જણાવ્યુ હતુ. તપાસ પછી આ અંગે કાર્યવાહી કરવાની ખાતરી પોલીસ કર્મચારીએ આપી હતી.
શાળા સંચાલકોએ આક્ષેપ ફગાવ્યા
જો કે બીજી તરફ સ્કૂલ સંચાલકોએ વાલીઓના તમામ આક્ષેપને ફગાવ્યાં હતા. શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યુ કે, શાળામાં બાળકો નવા આવ્યાં હોવાથી હોમસીકનેસના કારણે ફરિયાદ આવે છે. જમવા માટેની ફરિયાદ તદ્દન ખોટી છે. તેમણે જણાવ્યુ કે, કેટલાક વાલીઓને અહીં માત્ર હંગામો જ કરવો છે.