રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર, કોરોનાનો કપરોકાળ હવે લઇ રહ્યો છે વિદાય
મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહત સમાચાર છે. મહાનગરોમાં જોવા મળતી હાલની સ્થિતિ પરથી કહી શકાય કે, મહામારી હવે ધીમેધીમે કાબૂમાં આવી રહી છે.
મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહત સમાચાર છે. મહાનગરોમાં જોવા મળતી હાલની સ્થિતિ પરથી કહી શકાય કે, મહામારી હવે ધીમેધીમે કાબૂમાં આવી રહી છે. રાજ્યના મહાનગરોના આ દ્રશ્યો, જ્યાં હોસ્પિટલથી સ્મશાન સુધી જોવા મળતા વરવા દ્રશ્યો હવે અદ્રશ્ય થયા છે.
અમદાવાદમાં સ્થિતિ સુધરી હોય તેમ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 808 બેડ ખાલી થયા છે. સુરતમાં પણ સંક્રમણ સાથે પોઝિટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે, તો ઓક્સિજનની માગ પણ 220 મેટ્રિક ટનથી ઘટીને 160 મેટ્રિક ટન થઇ છે. આ તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના 55 બેડ અને જનરલ આઇસોલેશનમાં 77 બેડ ખાલી છે, તો ઓક્સિજનની દૈનિક વપરાશ ઘટી છે.
વડોદરાના સ્મશાનોમાં નિરવ શાંતિ જોવા મળી, જ્યાં મૃતદેહોની લાઇન લાગતી હતી ત્યાં હવે એકલ દોકલ મૃતદેહો આવી રહ્યા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોના પૈડા થંભ્યા છે. દિવસ રાત દોડાદોડી કરતી અને હોસ્પિટલ બહાર લાગતી એમ્બ્યુલન્સોની લાઇનો બંધ થઇ છે. આમ આ દ્રશ્યો મહામારી વચ્ચે મહારાહત આપનારા છે.