સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા, ખેડૂતોની વધી ચિંતા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયુ બન્યુ હતુ. હિંમતનગર અને પ્રાંતિજ સહિત અનેક સ્થળો પર મોડી સાંજે વરસાદી માહોલ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સર્જાયો હતો.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતુ. આ દરમિયાન વહેલી સવારે અને બપોર બાદ અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળો પર કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે સાંજના અરસા દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. કમોસમી વરસાદને લઈ રવિ સિઝનના પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. એક તરફ ખેડૂતો માટે મુશ્કેલ દિવસનો સામનો થઈ રહ્યો છે ત્યાં હવે પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદે સમસ્યા વધારી દીધી છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, પ્રાંતિજ, વિજયનગર, ખેડબ્રહ્મા, તલોદ અને ઈડર વડાલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ઘણાંખરા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં જોરદાર રહ્યા હતા અને રસ્તાઓ પણ ભીના થઈ ગયા હતા. જાણે કે ચોમાસાનો માહોલ હોવ એવી સ્થિતી શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં જોવા મળી હતી.
આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ
ખાસ કરીને મોડાસા વિસ્તારમાં વહેલી સવારના અરસા દરમિયાન વરસાદ વરસ્યો હતો. મોડાસાના ટિંટોઈ અને ઈસરોલ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના આકોદરા, કાંકણોલ, ગઢોડા, હાજીપુર, નવા સહિતા મોટા ભાગના આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજ શહેર ઉપરાંત તાલુકાના પોગલુ, પલ્લાચર, રામપુરા આમોદરા, ઝીંઝવા, સોનાસણ, સલાલ, દલપુર અને નનાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી
રવિ સિઝનમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઘઉં, બટાકા, કપાસ અને કઠોળ સહિતના પાકોનુ વાવેતર મોટો પ્રમાણમાં થયુ છે. આ ઉપરાંત શાકભાજી પાકોનુ વાવેતર પણ મોટા પ્રમાણમાં છે. આવી સ્થિતીમાં કમોસમી વરસાદ વરસવાને લઈ ખેડૂતોની ચિંતા વધી ચુકી છે. હાલમાં ખેડૂતો ઘઉંના પાકમાં ઠંડીનો માહોલ જળવાઈ રહે એ માટેની આશા રાખી બેઠા હોય છે, એ દરમિયાન કુદરતે વરસાદનો ફટકો આપ્યો છે. આવી જ રીતે કપાસ અને ચણાનુ વાવેતર કરનારા ખેડૂતોને પણ મુશ્કેલી વધી ચુકી છે.
શાકભાજી પાકોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. સાબરકાંઠાના વડાલ અને પ્રાંતિજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાકભાજીનુ ઉત્પાદન થતુ હોય છે. પ્રાંતિજ આસપાસના વિસ્તારોમાં હાલમાં ફુલાવર અને કોબિજના પાકોનુ વાવેતર વધારે છે. વાદળછાયુ વાતાવરણ રહેવાથી અને કમોસમી વરસાદી માહોલને લઈ ફુગજન્ય સમસ્યા વર્તાતી હોય છે. તેમજ ઉત્પાદનને પણ અસર ગુણવત્તાને લઈ રહેતી હોય છે. આવી સ્થિતીમાં સસ્તા ભાવે ઉત્પાદન વેચવાનો વારો આવતો હોય છે.