Corona: બોગસ સહાય કૌભાંડનો સૂત્રધાર વિદેશ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી ઝડપાયો, ગાંધીનગરના ભેદ ખોલ્યા
આરોપી પ્રવિણ વાળંદ NRI હતો અને તે ફરીથી વિદેશ ભાગવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી તલોદ પોલીસે ઝડપી લીધો, તેણે ગાંધીનગરના વધુ ભેદ કબૂલ્યા
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સહાય કૌંભાડનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. મુંબઈ એરપોર્ટ પરથી લુક આઉટ નોટિસ આધારે તેને ઝડપી અને તલોદ લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન તેણે ગાંધીનગર જિલ્લામાં આ જ પ્રકારે બોગસ દસ્તાવેજો દર્શાવી કોરોના સહાય મેળવવાનું કૌભાંડ આચર્યું હતુ. માસ્ટર માઈન્ડ હવે ફરીથી વિદેશ ભાગી જવા માટે નીકળ્યો હતો.
ઉપર તસ્વીરમાં આ ઠગને જરા ધ્યાન થી જુઓ, NRI આ શખ્સ આમ તો ગાંધીનગર હાલીસા ગામનો છે, પરંતુ સરકારી સહાયનો લાભ ઉઠાવવો ભેજાબાજ છે. એનઆરઆઈ ઠગ ના નામ પ્રવિણ આત્મારામ વાળંદ છે. જે હવે ફરી વિદેશ ભાગવાની વેતરણમાં હતો ત્યાં જ તે હવે જેલના સળીયા પાછળ પહોંચી ગયો છે. તલોદ પોલીસ મથકે તેના વિરુદ્ધમાં બોગસ કોરોના મૃત્યુ સહાય મેળવી અપાવવાના સૂત્રધાર તરીકે ફરીયાદ નોંધાઈ હતી.
ગાંધીનગરમાં આવુ જ કૌભાંડ આચરવાનો પ્રયાસ કર્યો
એનઆરઆઈ ઠગ પ્રવિણ વાળંદ કોંગોમાં રહેતો હતો. ત્યારબાદ તે ફરીથી ભારત આવ્યો હતો અને કોરોના કાળ દરમિયાન મોતને ભેટેલા લોકોને સહાય માટે ગુજરાત સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે. આ સહાય મેળવી લેવાનું કૌભાંડ આચરવામાં પ્રયાસ કર્યો હતો. પ્રવિણ વાળંદે સાબરકાંઠા જ નહિં ગાંધીનગરમાં પણ આવી રીતે બોગસ સહાય મેળવવાના પ્રયાસ કર્યો હોવાનું રિમાન્ડ દરમિયાન પુછપરછ દરમિયાન સામે આવ્યુ છે.
પ્રવિણ ની આ કબૂલાત બાદ તલોદ પોલીસે આ અંગે હવે ગાંધીનગર દહેગામ મામલતદાર કચેરીમાં સંપર્ક કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ ને હજુ વધારે ભેદ ઉકેલાયો એવી આશા છે, જેને લઈ તલોદ પોલીસે હવે પ્રવિણ પાસેથી વધુ વિગતો નિકાળવા માટે તપાસ શરુ કરી છે.
પોલીસે મુંબઈથી ધરપકડ કરી
હિંમતનગર DySP અતુલ પટેલે Tv9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, આરોપી વિદેશ રહેતો હતો. જેના આધારે પોલીસે ગુનો નોંધી તુરત જ તેને લઈ લૂક આઉટ નોટિસ સરક્યૂલેટ કરી હતી. જેને લઈ મુંબઈ એરપોર્ટ પર તે પહોંચતા જ એરપોર્ટ પોલીસે તલોદ પોલીસને જાણકારી આપી હતી. જેને લઈ પ્રવિણને શોધી રહેલી પોલીસ ટીમ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. જેને ત્યાંથી ઝડપી લીધો હતો. આરોપી પ્રવિણ વિદેશ ભાગવાની ફિરાકમાં હતો.
ખોટા દસ્તાવેજો આધારે કૌભાંડ
દેશ વિદેશમાં કોરોના નો ફફડાટ વ્યાપી રહ્યો છે, ત્યાં આ ઠગને આ જ કોરોનામાંથી કમાણી કરવાનું સૂઝ્યું હતુ. તેણે એવા લોકોની શોધ ચલાવી કે જેઓ ગરીબ હોય અને પરિવાર માંથી કોઈ મૃત્યુ પામ્યો હોય. આવા પરિવારના મૃત્યુ પામેલ સ્વજન ના નામે ખોટા દસ્તાવેજો બનાવી સરકારી સહાય મેળવવાના પ્રયાસ કર્યો હતો. તલોદ મામલતદાર કચેરીમાં બે સપ્તાહ અગાઉ કોરોનાથી મૃત્યુ નિપજ્યાં ની સહાય આપવાના મામલે કૌભાંડ સામે આવ્યું હતુ. એક બાદ એક 6 કેટલીક એવી અરજી સામે આવી હતી કે, જેમાં બોગસ દસ્તાવેજો બનાવી સહાય મેળવવાના પ્રયાસ કર્યો હતો. પરંતુ સહાય ચુકવાઈ એ પહેલા જ ફ્રોડનો ભેદ ખુલી જવા પામ્યો હતો.
ઓનલાઈન કરી હતી અરજી
આ ભેજાબાજ દ્વારા ઓનલાઇન અરજી કરીને સહાય મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે કોરોનાથી વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાનું દર્શાવી આ માટે સહાય મેળવવા તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. પરંતુ તે તમામ દસ્તાવેજો બોગસ હતા. જે લોકોના મૃત્યુ કોરોનાથી થયા હોવાના દર્શાવ્યા હતા એમાંથી કોઈ ને પણ કોરોના થયો જ નહોતો, કે તેની સારવાર પણ લીધી નહોતી.