શામળાજી-ચિલોડા નેશનલ હાઈવેના ઓવરબ્રીઝ લોકાર્પણ પહેલા જ ભંગાર હાલતમાં, મસમોટા ખાડાથી પરેશાની
ફોર લાઈન હાઈવેને સિક્સ લાઈન કરવામાં આવી રહ્યો છે, આ કામગીરી છેલ્લા કેટલાક વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યુ છે. મોટાભાગના ઓવરબ્રિજ ને અત્યાર સુધીમાં બે-ત્રણવાર રિપેર કરવા પડ્યા છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવેને હાલમાં સિક્સ લાઈન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચિલોડા થી વાયા હિંમતનગર થઈને શામળાજી સુધીના હિસ્સાનુ કાર્ય છેલ્લા કેટલાક વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યુ છે. હાલમાં નેશનલ હાઈવેને જાણે કે જેમતેમ કરીને પુર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હોય એવી સ્થિતી છે. નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા મોટાભાગના ઓવરબ્રિજની હાલત ભંગાર છે. હાઈવે નુ લોકાર્પણ થાય એ પહેલા જ તૈયાર થઈ ચૂકેલા તમામ ઓવરબ્રિજ પર મોટા મોટા ખાડા પડ્યા છે. આ ખાડાને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે. તો વળી કેટલાક ખાડાઓને સંતાડવા થીગડા લગાવી દેવામાં આવ્ચા છે.
ઓવરબ્રિઝ પર ખાડાઓ વારંવાર પડી રહ્યા છે. હવે તેની પર થાગડ થીગડ કરવામાં આવી રહ્યા છે. પહેલા પણ બેથી ત્રણ વાર આ પ્રમાણે થીગડા લગાવાઈ ચૂક્યા છે. હવે જો આમ જ તેની પર ડામર રોડ બનાવી દેવામાં આવશે તો, તે આગામી ચોમાસામાં ફરી તૂટી જશે. તો વળી ઉનાળામાં પણ ગરમીમા ફરી તૂટેલા હાઈવે પર પસાર થવાની પરેશાની વેઠવી પડશે.
મોટાભાગના નવાનક્કોર બ્રિઝને રિપેર કરવા પડ્યા
કરોડો નહીં અબજો રુપિયાના ખર્ચે જ્યારે નેશનલ હાઈવેનુ નવિનીકરણ થઈ રહ્યુ હોય ત્યારે સ્વાભાવિક જ તેમાં ગુણવત્તા જળવાય એવી અપેક્ષા અને સરકાર અને પ્રજા સૌને હોય. પરંતું સાબરકાંઠા અને અરવલ્લીમાંથી પસાર થતા દિલ્લી-મુંબઈ નેશનલ હાઈવેને સિક્સલાઈન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચિલોડાથી હિંમતનગર અને હિંમતનગર થી શામળાજી વચ્ચે અનેક ઓવર બ્રિજના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જેમાથી કેટલાક ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે. જેનો હાલમાં વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવાના શરુ કરવામાં આવ્યા છે. પરંતુ આ નવા નક્કોર બ્રિજ જાણે કે દાયકાઓ જૂના હોય એવી સ્થિતી છે.
મોટાભાગના નવા ઓવરબ્રિજ કોઈ ગામડાના રસ્તાને પણ સારા કહેવડાવે એવા બદતર સ્થિતીમાં છે. મસ મોટા ખાડાઓ ઓવરબ્રિજ પર પડ્યા છે. તો બીજી તરફ ખાડાઓને છુપાવવા માટે મોટા મોટા થીગડાં લગાવવામાં આવ્યા છે. આમ નવાને બદલે જૂના હાઈવે જેવી સ્થિતી છે. તો આવી સ્થિતીમાં તૈયાર થયેલો નેશનલ હાઈવે આગામી ચોમાસા ધોવાઈ જશે એવી ચિંતા અત્યારથી જ વાહનચાલકોને સતાવી રહી છે.
લોકાર્પણ પહેલા જ મરામતની જરુરિયાત ઉભી થઈ
હાઈવેની કામગીરીમાં સુધારો લાવવા માટે ફરી એકવાર હિંમતનગરના જાગૃત નાગરીકો દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. એક એક ઓવરબ્રિજ પાછળ કરોડો રુપિયા ખર્ચાઈ રહ્યા છે. એમ છતાં ભંગાર હાલતના ઓવર બ્રીજ તેની હલકી ગુણવત્તાને લઈ ખાડા ખડીયા વાળા વારંવાર બની રહ્યા છે. એક તરફ નવિનીકરણ અને બીજી તરફ નવા બનાવેલા બ્રિજને રિપેરિંગનુ કામ સતત ચાલુ જ રહે છે. એક એક ઓવરબ્રિજ પર ત્રણ થી ચાર વાર થીગડા લગાવવાની કામગીરી માટે બંધ કરવા પડ્યા છે. હજુ પણ આવી સ્થિતીને લઈ વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.
સાંસદે પણ અગાઉ રજૂઆત કરી હતી
સ્થાનિક અગ્રણી અને દેશમાં વિવિધ પ્રદેશનુ સુપર પાવર પદ સંભાળતા નેતાએ કેન્દ્રીય કક્ષાએ વાત મુકી હતી. તેઓએ સરકારની યોજના લોકોઉપયોગી વધુ સારી રીતે થઈ શકે અને નાણાનો બગાડ ના થાય એ માટે ધ્યાન દોર્યુ હતુ. હાઈવેના તમામ ઓવરબ્રિઝની ગુણવત્તા અને તેના ટકાઉ પણાની સ્થિતી અંગે કેન્દ્રીય કક્ષાએ સરકારને ધ્યાને મુકી હતી. જેને લઈ હાઈવે ઓથોરીટીની ઉચ્ચસ્તરીય ટીમો દોડતી હિંમતનગર પહોંચી હતી. જેને લઈ કામની ગતિ વધારવામાં આવી હતી. હવે ફરી એકવાર આ નેતાને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરનાર છે. સાંસદ દીપસિંહ રાઠોડે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને લઈ કેન્દ્રીય સ્તરે રજૂઆત કરી હતી.