Sabarkatha: આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોવિડ રસિકરણ અભિયાનથી રહ્યા દૂર, આ કારણથી દર્શાવ્યો રોષ
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે કોવિડ રસીકરણ (Corona Vaccine) માટે અભિયાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લામાં 200 થી વધુ કેન્દ્રો પર આ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.
સાબરકાંઠા (Sabarkatha) જિલ્લામાં આજે કોવિડ રસીકરણ (Corona Vaccine) અભિયાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ રસીકરણની કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. આરોગ્ય કર્મચારી (Health Department Staff) ઓએ પોતાના આઈડી પણ આજે બંધ કરી દીધા હતા. સાથે જ રસીકરણ કેન્દ્રો આગળ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સુત્રોચ્ચાર કર્યો હતો. છેલ્લા કેટલાય સમય થી આરોગ્ય વિભાગના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી અને આ માટે કર્મચારીઓએ પણ અનેકવાર રજૂઆતો અને દેખાવો કર્યા છે.
જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના રસીકરણ અભિયાન માટેની જિલ્લામાં વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. જે લોકો હજુ પણ કોરોનાની રસી લેવાથી રહી ગયા હોય તેમને જાગૃતી પ્રેરીને આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને એક ડોઝ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તેમને પણ રસી આપવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ શનિવારે આ પ્રકારના આયોજનમાં આરોગ્ય વિભાગને મોટી મુશ્કેલી સર્જાઈ હતી. કર્મચારીઓના પડતર પ્રશ્નોનોનો કોઈ ઉકેલ નહી આવવાને લઈને તેઓએ કામગીરીથી દૂર રહી વિરોધ દર્શાવ્યો હતો.
જિલ્લામાં 210 થી વધુ કેન્દ્રો દ્વારા શનિવારે રસીકરણ કરવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેને સંચાલન માટે આરોગ્ય કર્મચારીઓની આવશ્યકતા હતી. પરંતુ આ માટે તાલીમ અને અનુભવ ધરાવતા કર્મચારીઓ જ કામથી દૂર થઈ ગયા હતા. તેઓએ પોતાના આઈડી પણ આ દીવસે બંધ કરી દીધા હતા. જેને લઈને રસીકરણની કામગીરી પ્રભાવિત થઈ હતી. જિલ્લામાં લગભ 730 જેટલા કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. કર્મચારીઓએ જેતે પોતાના આરોગ્ય કેન્દ્રો સમક્ષ ઉપસ્થિત રહીને સુત્રોચ્ચાર કર્યા હતા.
ડ્રાઈવમાં ખોટી એન્ટ્રીના આક્ષેપ
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટે કહ્યુ હતુ કે, શનિવારે જે રસીકરણની કામગીરીની મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી તેની એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી છે. સીએચઓ દ્વારા આ એન્ટ્રી ખોટી કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આ માટે પત્ર લખીને લેખીત રજૂઆત કરવમાં આવનાર છે. જે લાભાર્થીઓને શનિવારે રસી આપવામાં આવી છે તેમની યાદી મારફતે તેમની ખરાઈ કરી તપાસ કરવાની માંગ પણ પત્ર દ્વારા કરવામાં આવશે. આક્ષેપ પ્રમાણે ફાર્માસીસ્ટ પણ વેક્સિનનુ ડિસ્પેચ કરેલ નથી તો વેક્સિનનો જથ્થો કેવી રીતો પહોંચ્યો અને તે અંગેની એન્ટ્રી દર્શાવાઈ હતી. આમ શંકાસ્પદ ડ્રાઈવની કામગીરીની તપાસની માંગ કરવામાં આવનાર હોવાનુ જણાવ્યુ હતુ.