Sabarkantha: ઈડરમાં બેંકના સ્ટ્રોંગરુમમાંથી રુ 2000 ની 500 નોટો ઉડી ગઈ! 4 દિવસે ફરીયાદ મળતા પોલીસે તપાસ શરુ કરી
બેંકમાં ગોટાળા કરવા અને ઉચાપત કરવામાં આવતી હતી અને તેને લઈને અનેક જવાબદારો જેલના સળીયા ગણી ચુક્યા છે, પરંતુ અહીં તો 'ગુલાબી' નોટો જ ગૂમ થઈ જતા સ્ટ્રોંગ રુમ (Strong Room) જ અસલામત હોવાનુ લાગી રહ્યુ છે.
સામાન્ય રીતે બેંકોમાં ગોટાળા થતા આવવાના કિસ્સા સામે આવતા અને તેમાંય સૌથી વધારે સહકારી બેંકો અને મંડળીઓમાં. તો વળી ઉચાપતના મામલા પણ એટલા જ સામે આવતા હતા. આવા મામલાઓની ફરીયાદો પણ નોંધાતી આવી છે અને પોલીસ તપાસ દરમિયાન બેંકના કર્મચારીઓ અને પદાધીકારીઓ જેલની હવા પણ ખાઈ ચુક્યા છે. પરંતુ સાબરકાંઠા (Sabarkantha) ના ઈડરમાં તો ગજબ થઈ ચુક્યુ છે, અહી સ્ટ્રોંગમાં રુમમાં રહેલી ‘ગુલાબી’ નોટો જ ઉડી ગઈ છે. એટલે કે નોટો જ ગાયબ થઈ ગઈ છે. બેંકના સત્તા વાળાઓએ પહેલા તો પોલીસને ફરીયાદ કરવાની ઉતાવળ કરવાના બદલે જાતે જ આંતરીક તપાસ હાથ ધરી હતી. પરંતુ બેંકમાંથી કોઈ જ એકનુ બે થઈને નાગરીક સહકારી બેંક (Nagarik Sahkari Bank Ltd)ના અધિકારીઓ અને પદાધીકારીઓ સામે કબૂલાત નહી કરતા આખરે મામલો ઈડર પોલીસ (Idar Police Station) મથકે ફરીયાદના સ્વરુપમાં પહોંચ્યો હતો. જેને લઈ હવે પોલીસે કર્મચારીઓ પર બાજ નજર રાખવી શરુ કરી તપાસ હાથ ધરી છે.
નાગરીક સહકારી બેંક ઈડરના પદાધીકારીઓને ગત 2 મે ના રોજ જાણકારી મળી અને તે ખબર સાંભળનારા અધિકારીની પગ નિચેથી ધરતી ખસી જવા જેવી હતી. કારણ કે કોઈ પણ બેંકમાં સૌથી સલામત ગણાતા સ્ટ્રોંગ રુમમાંથી 2000 રુપિયાના નોટો ગાયબ હતી એક બે લાખ રુપિયાની નહી પુરા 10 લાખ રુપિયાની નોટોના બંડલ ગાયબ હતા. જેને લઈ ફરીથી હિસાબોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્ટ્રોંગ રુમમાં રહેલી રકમ ગણવામાં આવતા 500 નોટો ઓછી જ જણાઈ હતી. જેને લઈ પહેલા તો બેંકના સત્તાવાળાઓએ પોલીસની મદદ લેવાને બદલે જાતે જ તપાસ શરુ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન કોઈ જ સગડ મળ્યા નહોતા. આખરે ગત છઠ્ઠી તારીખે ઈડર પોલીસનો નાગરીક બેંકે સત્તાવાર સંપર્ક કર્યો હતો.
ઈડર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એનએન રબારીએ ફરીયાદ નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે. જે મુજબ જવાનપુરામાં આવેલી ઈડર નાગરીક સહકારી બેંક લીમીટેડના સ્ટ્રોંગ રુમમાં રહેલી તિજોરીમાં રાખેલ રકમ ગુમ થઈ છે. જે 2000ના દરની નોટોના કુલ 10 બંડલ રાખેલ હતા. જેમાંથી 5 બંડલ ઓછા જણાયા હતા. ગત બીજી મેના રોજ કેશ સમરીમાં ક્લોઝીંગ બેલેન્સ દરમિયાન આ રકમ ઓછી જણાઈ આવી હતી. જેને લઈ કોઈ કર્મચારીએ જ તકનો લાભ ઉઠાવીને ચોરી કરી હોવાનો ગુનો નોંધ્યો હતો.
એસપીના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ
SP વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઈડર પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્ટ્રોંગ રુમમાં કોણ આવ-જા નિયમીત કરતુ હતુ અને કોની પાસે તેની સત્તા હતી થી માંડીને તેને લોક ખોલવા અને બંધ કરવાની સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બેંકના કર્મચારીઓ પર વોચ રાખીને શંકાસ્પદ હિલચાલ પર નજર દાખવવામાં આવી છે. આમ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે કમર કસી લીધી છે. ટૂંક સમયમાં જ આરોપી સુધી પહોંચવાની પોલીસને આશા છે.