ઈડર વિસ્તારમાં ચંદન ચોરોનો આંતક, વસાઈ વિસ્તારમાં 3 દિવસમાં બે ડઝન ચંદનના કિંમતી વૃક્ષોની ચોરી, સ્થાનિકોમાં તંત્ર પર રોષ
ઈડર વિસ્તારમા અને ખાસ કરીને વસાઈ અને તેનો આસપાસનો વિસ્તારનો કુદરતી ચંદનના વૃક્ષો માટે જાણીતો છે. કુદરતની ચંદનની ચોરીનુ પ્રમાણ વધવા છતાં તંત્રના પેટનુ પાણી નહીં હલતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં ચંદન (Sandalwood) ચોરીનુ પ્રમાણ છેલ્લા પંદરેક દિવસમાં ખૂબ જ વધવા લાગ્યુ છે. પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી નહી થઈ રહી હોવાનો રોષ ફેલાઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં મોટા પ્રમાણાં ચંદનની ખેતી થવા ઉપરાંત વર્ષોથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કુદરતી ચંદનના વૃક્ષો છે. જેનો ઉછેર કુદરતી થવા સાથે ખેડૂતો પણ જીવના જેમ ઉછેરીને મોટા કરે છે. જોકે મોટા થવાની સાથે જ વિસ્તારમાંથી ચંદન ચોરો તેને રાત્રીના અંધકારમાં કાપીને લઈ જતા હોય છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં જ બે ડઝન કરતા વધુ ચંદનના વૃક્ષોની ચોરી થવા પામી છે. જેને લઈને હવે સ્થાનિક લોકો પણ રોષ દર્શાવી રહ્યા છે.
આ પહેલા પણ ઇડર અને જાદર પોલીસ મથકમાં ચંદન ચોરી અંગેની ફરીયાદો છેલ્લા એક માસ દરમિયાન નોંધાઈ ચુકી છે. પરંતુ તે અંગે કોઈ જ કડીઓ ચોરીને ઉકલેવામાં સફળ થઈ શકાયુ નથી. ત્યાં તો તસ્કરો પણ પડકાર આપી રહ્યા હોય એમ એક બાદ એક ચંદનના ઝાડની ચોરી વધુ ને વધુ આચરી રહ્યા છે. આમ હવે પોલીસ માટે પણ ચંદન ચોરોને ઝડપી લેવાએ મુશ્કેલ પડકાર બની રહ્યો છે. ઇડર અને તેની આસપાસના ચોક્કસ વિસ્તારમાં જ ચંદન ચોરો ત્રાટકતા હોવા છતાં પણ તેમની પર ગાળીયો કેમ કસી શકાતો નથી એ વાત પણ હવે લોકોમાં સવાલોની માફક ચર્ચાઈ રહ્યુ છે.
કુદરતી ચંદનને સાચવવી મુશ્કેલ બની
વસાઈ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી ચંદનના ઉછેર માટે જાણીતો છે. આ વિસ્તારમાં લોકો જાતે જ ચંદનનુ રક્ષણ કરે છે. ના તો એ ચંદનના સ્થાનિક ખેડૂતો માલિક છે કે ના તો તે ચંદનના ઉછેરનુ વળતર મળનારુ છે. આમ છતાં પણ સ્થાનિક લોકો ચંદન અને વૃક્ષો પ્રત્યેની વારસાગત પેઢી દર પેઢીની લાગણીઓથી ચંદનના વૃક્ષોનો ઉછેર-માવજત અને તેની સાચવણી-જાળવણી કરે છે. આમ છતાં પણ વિસ્તારમાં ચંદન ચોરો રાત્રી દરમ્યાન વાહન લઈને આવીને કાપીને લઈને જતા રહે છે. આ ઉપરાંત ગત બુધવારની રાત્રી દરમિયાન 15 થી વધુ ચંદનના ઝાડની ચોર કરવામાં આવી હતી. એટલે કે એક જ સપ્તાહના ટુંકા સમયગાળામાં જ 20 થી વધુ ચંદનના વૃક્ષો ચોરી થયા છે. જોકે આ મામલે વન વિભાગની પ્રક્રિયા પણ વધારે પડતી ત્રાસદાયક અને ચોરી સામે રક્ષણ કરવાથી મનોબળ તોડનારી હોવાનો રોષ પણ વર્તાઈ રહ્યો છે.