Sabarkantha: ઇડરમાં રથયાત્રાની તૈયારી, જીલ્લામાં ક્યાં વરસ્યો વરસાદ, પ્રાંતિજમાં સ્વચ્છતા-સેવા સપ્તાહ શરુ
કોરોનાકાળ હોવાને લઇને જનતા કરફ્યૂ વચ્ચે ઇડરમાં રથયાત્રા (Idar Rathyatra) નિકળશે. જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો, પ્રાંતિજમાં અનોખુ અભીયાન પાલિકાએ હાથ ધર્યુ છે.
ઇડરમાં રથયાત્રાને લઇ તૈયારીઓ
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના ઇડરમાં રથયાત્રા (Idar Rathyatra) દર વર્ષની માફક નિકળનારી છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરના માર્ગો પરથી પસાર થતી રથયાત્રાને અગાઉ કરતા 2 કિલોમીટરનો રુટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના આગળના દિવસથી જ સાબરકાંઠા પોલીસ (Sabarkantha Police) દ્વારા ચુસ્તતા દાખવી દેવામાં આવી છે. રથયાત્રાના રુટ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને સાવચેતી તેમજ સુરક્ષાના પગલા લેવા માટેની કવાયત શરુ કરી દેવામાં આવી છે.
ઇડર પોલીસ દ્વારા રવિવારે કોરોના કાળમાં ભીડ ન થાય એ માટેની વિશેષ તકેદારી અંગે રિહર્સલ કરવામાં આવ્યુ હતું. પોલીસ દ્વારા રુટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. SP નિરજ બડગુર્જર (Niraj Badgurjar) અને DySP દિનેશસિંહ ચૌહાણની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના આગેવાનો અને રથયાત્રા આયોજકો હાજર રહ્યા હતા. જેઓની સાથે મળીને ગાઇડલાઇન્સની અમલવારી કરવા માટેના નિર્દેશોની સમજ કરાઇ હતી. 21 ધ્વજ સારથી, 5 રથ સારથી સહીત 60 લોકો રથયાત્રામાં જોડાશે. ખલાસીઓ માટે RTPCR ફરજીયાત અને રસીનો પહેલો ડોઝ ફરજીયાત કરવામાં આવેલ છે.
રથયાત્રા માટે SP, DYSP ઉરપરાંત 5 PI અને 21 PSI ફરજ બજાવશે. તેમજ 393 પોલીસ કર્મીઓ, 60 હોમગાર્ડ તૈનાત કરાશે. 15 બાયોનોક્યુલર, 21 વોકીટોકી, 10 મેટલ ડિટેકટર, 5 વિડીઓગ્રાફર રથયાત્રામાં ઉપયોગમાં લેવાશે.
પોશીના, વિજયનગર, હિંમતનગર અને વડાલીમાં વરસાદ
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઇ રહી છે. વરસાદ ખેંચાવા જેવી સ્થિતીને લઇને ખેડૂતો પણ ચિંતામાં ડુબ્યા છે. આ દરમ્યાન ધીમી ધારે જીલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજે અને મોડી રાત્રી બાદ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદને લઇને ખેડૂતોના પાકને કેટલેક અંશે રાહત પહોંચી હતી.
પોશીના (Poshina) તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસાદ નોંધાયો હતો. વડાલીના કૂબાધરોલ પંથકમાં વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રી બાદ હિંમતનગર (Himmatnagar) વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ વરસતા રાહત સર્જાઇ હતી. હિંમતનગરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો, બેરણાં, હડિયોલ, કાંકણોલ, ગઢોડા અને આકોદરા પંથકમાં વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારના ખેડૂતોને થોડાક વરસાદે પણ જીવ આવ્યા જેવી રાહત સર્જી હતી. જોકે હજુ વરસાદની ખૂબ જરુરીયાત ખેડૂતો માટે વર્તાઇ રહી છે.
પ્રાંતિજમાં સ્વચ્છતા-સેવા સપ્તાહ અભિયાન શરુ કરાયુ
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ (Prantij) શહેરમાં કોરોનાકાળ બાદ પાલિકાએ શહેરના પ્રાથમિક કાર્યોને વેગીલા બનાવવાની શરુઆત કરી છે. સૌ પ્રથમ તો સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. ઉપરાંત કોરોનાની બીજી લહેર દરમ્યાન પ્રાથમિક સુવિધાઓ જેમ તે સ્ટ્રીટ લાઇટ અને ગટર તેમજ પાણીની પાઇપ લાઇનો જેવી કાર્યોને લઇને અનોખુ અભિયા હાથ ધર્યુ હતું.
શહેરમાં એક સપ્તાહ એક વોર્ડ મુજબ સ્વચ્છતા-સેવા સપ્તાહ અભિયાન શરુ કર્યુ છે. જે મુજબ પ્રથમ વોર્ડમાં શહેરના આગેવાનો અને પાલિકાના હોદ્દેદારો તેમજ અધિકારીઓએ કામગીરી હાથ ધરી હતી. સાંસદ દિપસિંહ રાઠોડ (MP Dipsinh Rathod) અને પૂર્વ શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહાણ (Jaysinh Chauhan) પાલિકાના અનોખા પ્રયાસને પ્રોત્સાહન પુરુ પાડવા માટે પહોંચ્યા હતા. શહેર પ્રભારી કલ્પિત દવે અને શહેર પાલિકા પ્રમુખ દિપક કડિયાએ આ અભિયાન નુ આયોજન કર્યું હતું.