Sabarkantha: પ્રાંતિજને સાબરમતીનું પાણી આપવા આયોજન, પુરવઠા કચેરીનું કામકાજ બંધ, જાણો જીલ્લાના સમાચાર
પ્રાંતિજ શહેરની પાણીની સમસ્યા નિવારવા સાબરમતી નદી (Sabarmati River) આધારીત યોજના ઘડાશે, ગૃહ વિભાગની ઓળખ આપી ગઠીયાએ પૈસા પડાવ્યા.
સાબરમતી નદીથી લવાશે પ્રાંતિજમાં પાણી
પ્રાંતિજ (Prantij) શહેરમાં પિવાના પાણીની સમસ્યાને નિવારવા માટે નગર પાલિકા દ્વારા આયોજન હાથ ધરાયુ છે. શહેર નજીકથી પસાર થતી સાબરમતી (Sabarmati) નદીમાં વેલ બનાવી પાણી શહેરને આપવા માટેની યોજના ઘડવામાં આવી રહી છે. સાંસદ દિપસિંહ રાઠોડ (Dipsinh Rathod) અને શહેર પ્રભારી કલ્પિત દવે (Kalpit Dave) ની આગેવાનીમાં, સાબરમતી નદી વિસ્તારમાં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
પ્રાંતિજ નગર પાલિકા દ્વારા ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યાને, પહોંચી વળવા માટે અત્યારથી આયોજન ઘડવામાં આવી રહ્યુ છે. જે મુજબ સાબરમતી નદીથી પાઇપ લાઇન મારફતે પાણી શહેર સુધી લાવવામાં આવશે. હાલમાં પ્રાંતિજ શહેરમાં પાણીની વ્યવસ્થા ટ્યુબવેલ આધારીત છે. જે વ્યવસ્થાથી પાણીનો જથ્થો વિતરણ કરવો મુશ્કેલ ભર્યો છે. જેને લઇને પાલીકા પ્રમુખ દિપક કડીયા અને પાલીકા સત્તાધીશોએ સાબરમતી આધારીત પાણી વ્યવસ્થાની યોજના હાથ પર લીધી છે.
બે સપ્તાહ માટે પુરવઠા વિભાગની કામગીરી બંધ
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાંથી પણ સસ્તા અનાજની દુકાન ધરાવનારા બે સંચાલકો નામ, અનાજ કૌભાંડમાં આવ્યા હતા. જેમાં હિંમનતગરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકને ત્યાં પણ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. જિલ્લામાં હવે પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ચકાસણી હાથ ધરી છે. આ દરમ્યાન હવે હિંમતનગર, ઇડર, વડાલી સહિતના તાલુકાઓના પુરવઠા વિભાગની કચેરીની રેશનીંગ કાર્ડ સહિતની કામગીરી બે સપ્તાહ માટે બંધ કરી દેવાઇ છે.
પુરવઠા વિભાગ દ્વારા તપાસણીની કામગીરીને લઇને પુરવઠા વિભાગનો તાલુકા કક્ષાનો સ્ટાફ પણ તેમાં જોડી દેવામાં આવ્યો છે. જે સ્ટાફ હવે રેશનીંગની દુકાનોએ તપાસ હાથ ધરી છે. જેના કારણે પુરવઠા વિભાગે અન્ય તમામ કામગીરીને હાલમાં થંભાવી દીધી છે. આ બે સપ્તાહ દરમ્યાન સસ્તા અનાજની દુકાનના સંચાલકોની અનિયમિતતાઓ શોધી નિકાળવામાં આવશે. પરંતુ હાલ તો પુરવઠા વિભાગમાં રેશનીંગ કાર્ડ કે અન્ય કામગીરી માટે આવતા લોકો ધક્કા ખાઇ પરત જઇ રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ વિભાગમાં હોવાની ઓળખ આપી છેતરપીંડી
હિંમતનગર (Himmatnagar) ના ચાર જેટલા લોકોને એક ઠગે 76 હજાર રુપિયામાં છેતર્યા હતા. નેવી ઓફિસર તરીકે નિવૃત્તી બાદ એક્સટેશન મળ્યાનું કહી, હાલ કેન્દ્રીય હોમ અફેર્સ (Home Affairs) ની કચેરીમાં હોવાની ઓળખ આપી ઠગે છેતરપીંડી આચરી હતી. મલય ભાલચંદ્ર ચોકસી તરીકે પોતાનુ નામનું આઇકાર્ડ દર્શાવી, નોકરી અપાવવાની લાલચ આપી હતી. હુસેનાબાદ વિસ્તારમાં રહી, વ્યવસાય કરતા મીરખાન મકરાણી નામના શખ્શે પોતાની સાથે છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવી છે.
ચોકસીએ NGO માં કેટલાક લોકોની નોકરી માટે જરુર હોવાનુ કહ્યુ હતું. જેથી કોઇને રેલ્વેમાં ઓપરેટર તો કોઇને સચિવાલય અને નેવી (Navy) માં નોકરી અપાવવા માટેની લાલચ આપી હતી. આ માટે ફોર્મ ભરવા અને દસ્તાવેજો સબમીટ કરવા માટ 76 હજાર જેટલી કુલ રકમ ઉઘરાવી લઇને છેતરપીંડી આચરી હતી. હિંમતનગરના બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંઘી મલય ચોકસીની શોધખોળ હાથ ધરી છે.