Sabarkantha: નરેન્દ્ર મોદીએ રાજસ્થાન સાથે સરહદ વિવાદનો ઉકેલ લાવવા કરાવેલી શરુઆત, ઐતિહાસિક અંત તરફ
નરેન્દ્ર મોદી (Narendra Modi) એ જે વિવાદનો ઉકેલ લાવવા માટે દોઢ દાયકા પહેલા રસ દાખવ્યો હતો. લાંબી મથામણ બાદ હવે રાજસ્થાન સાથેનો સરહદ વિવાદ ઉકેલાવા પર પહોંચ્યો છે.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં આંતરરાજ્ય સરહદની સમસ્યાનો ઉકેલ હવે દાયકાઓ બાદ આવવા જઈ રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદ (Gujarat Rajasthan Border)ને લઈને વિવાદ સર્જાયેલો હતો. બંને રાજ્યના અધિક કલેકટર (Additional Collector) કક્ષાના અધિકારીઓએ હિંમતનગરમાં બેઠક યોજી હતી. જેમાં સ્થળ માપણી બાદ ચકાસણી કરવા સંદર્ભનો નિર્ણય લેવા બેઠક યોજવામાં આવી હતી.
દાયકાઓથી ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદોને લઈને વિવાદ ચાલી આવી રહ્યો છે. બંને રાજ્યો વચ્ચે અનેકવાર અધિકારીઓએ બેઠકો યોજ્યા બાદ હવે વિવાદ ઉકેલવાના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. બંને રાજ્યના સરહદી અધિક કલેકટર અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હદની સમસ્યાના નિવારણ માટે માપણી રીપોર્ટ અને નકશાઓને ચકાસી તેમાં જણાયેલી ક્ષતીઓને દુર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ પણ બંને રાજ્યો દ્વારા સંયુક્ત માપણી હાથ ધરવામાં આવી હતી. માપણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે તેને આધારે દસ્તાવેજી કાર્યવાહી હાથ ધરાનાર છે. સાથે જ માપણી શીટ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જણાયેલ ક્ષતીઓને લઈને હવે ફરીએકવાર સંયુક્ત માપણી ચોક્કસ વિસ્તારની કરવામાં આવશે.
આગામી મહિને બંને રાજ્યના અધિકારીઓની ફરી એકવાર બેઠક યોજવામાં આવશે. ત્યારબાદ બંને રાજ્ય તરફથી અંતિમ સમાધાન હાથ ધરાશે. અધિકારીઓ મુજબ આજે સમાધાન બેઠકનું જ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ કેટલીક ક્ષતીઓને લઈ સુધારણા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
સાબરકાંઠા અધિક કલેકટર એચઆર મોદીએ કહ્યું હતુ, બંને રાજ્યના સરહદી જીલ્લાના અધિક કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બેઠકના તારણો બંને રાજ્યના સરહદી જીલ્લા કલેકટરને મોકલી આપવામાં આવશે. આગામી બેઠકનું આયોજન નક્કી કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીએ દાખવ્યો હતો રસ
સાબરકાંઠા જીલ્લાના પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાના 24 જેટલા સરહદી ગામોની જમીનમાં હદની સમસ્યા વર્તાઈ રહી છે. આખરે હવે દોઢેક દાયકા બાદ હદની સમસ્યાનું સમાધાન આવી પહોંચ્યુ છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદ વિવાદનો ઉકેલ લાવવા શરુઆત કરી હતી.
આ માટે સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલે (Ashwin Kotwal) પણ સ્થાનિકોને મળી મુખ્યપ્રધાનની હકારાત્મકતાને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. મુખ્યપ્રધાને રસ દાખવતા જ અધિકારીઓએ ભરપૂર મહેનત અને પ્રયાસ દોઢ દાયકા દરમ્યાન કર્યા હતા. ત્યારબાદ હવે અધિકારીઓની મહેનત ઐતિહાસિક નિર્ણય લાવવા પર પહોંચી છે.
સરહદી વિસ્તારના અસરગ્રસ્ત ગામડાઓ
મીઠીબેલી, આંજણી, કાલીકાકર, ઝીંઝણાટ, પાલિયાબિલા, છત્રંજ, મામાપીપળા, ગાંધીસણ, સેમલિયા, પીપલીયા, વલસાડી, કલછાવાડ, મોવતપુરા, દેમતી, દેડકાં, નાડા, બંડી, બારા, ચંદ્રણા, મથાસરા, ખારીબેડી, ખોખરા પાદરા, નેલાઉ, ડગલાં.