Sabarkantha: ગ્રામ પંચાયત વૃક્ષ ઉછેરી પર્યાવરણના જતન સાથે લાખોની આવક રળી શકે છે, પ્રાંતિજનું ગામ બન્યું ઉદાહરણ
વૃક્ષોની વાવણી અને તેનો ઉછેર કરવાની ઉત્કંઠા ગામના વિકાસને પણ મદદ કરી છે. પ્રાંતિજના આ ગામડાએ લાખોની કમાણી કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે નવી દીશા ચિંધી છે.
ચોમાસામાં વરસાદ વરસે એટલે પર્યાવરણના પ્રેમીઓને વૃક્ષોનુ વાવેતર કરવાનો આનંદ આવતો હોય છે. પ્રકૃતિ પ્રેમીઓને વૃક્ષોનો ઉછેર કરવાનુ ખૂબ પસંદ હોય છે. એટલે જ કેટલાક વિસ્તારોમાં હરીયાળી વિસ્તરતી જોવા મળી રહી છે. સાબરકાંઠા (Sabarkantha) ના પ્રાંતિજ તાલુકાનુ ઘડી (Ghadi) ગામ પ્રકૃતિ સાથે આવો જ પ્રેમ ધરાવે છે. ગામ પ્રતિ વર્ષ 4-5 હજાર વૃક્ષોનું વાવેતર કરે છે.
પ્રાંતિજ તાલુકાના આ ગામની ભાગોળે પહોંચતા જ એમ લાગે કે જાણે કે પ્રાકૃતિક સૌંદર્યનો એક ટુકડો કુદરતે જાણે અહીં વેરી દીધો છે. લીલાછમ વૃક્ષોની હરીયાળી ધરાવતુ આ ગામ પ્રાંતિજ તાલુકાનુ ઘડી ગામ છે. અહી ગામમાં પ્રવેશતા જ ગામની ચો તરફ વૃક્ષો જોવા મળે છે. અહી આંબા, જાંબુથી લઇને અરડૂસા અને નિલગીરી જેવા વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે.
પ્રતિ વર્ષ 4 થી 5 હજાર વૃક્ષો ગામમાં ચોમાસા દરમ્યાન વાવણી કરવામાં આવે છે. જેથી ગામનુ પર્યાવરણના પ્રેમનુ જતન કરી શકાય છે. સાથે જ આ વૃક્ષો ગામના વિકાસને પણ મદદરુપ થઇ રહ્યા છે. કારણ કે અહી ફળની આવક ઉપરાંત નિલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોને વેચાણ કરીને આવક પંચાયતને મળે છે. જેનાથી પંચાયતને વિકાસ માટે આવક મળી રહે છે.
પંચાયત અને વન વિભાગે સાથે મળી કર્યો ઉછેર
ઘડી ગ્રામ પંચાયતના સરપંચ નગીનભાઇ રાઠોડ કહે છે, અમે પ્રતિ વર્ષ 4 થી 5 હજાર વૃક્ષોની વાવણી કરીએ છે. ગામ પહેલાથી વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે. ગામમાં અમે 40 હજાર જેટલા વૃક્ષો ઉછેર્યા છે. જેનાથી ગામના વિકાસ માટે સારી એવી આવક રળી શકાઇ છે.
પ્રાંતિજના ફોરેસ્ટર પ્રિયંકા પટેલ કહે છે, અમે ઘડી ગામને તેમની જરુરિયાત મુજબ રોપાઓ પુરા પાડીએ છે. અમે વન વિભાગ દ્વારા તેઓને વૃક્ષોના ઉછેર માટે મદદ કરવા સાથે ગ્રામ પંચાયતને આવક થાય એ માટેના વૃક્ષોના વાવેતર માટે મદદ કરી છે. જેથી ગામની આવકમાં વધારો થઇ શકે. અમે રોપા આપીએ છીએ, તેના ઉછેર થયા બાદ લાકડાને વેચીને પંચાયતને આવક પણ મેળવી આપીએ છીએ.
વૃક્ષ ઉછેરી આટલી આવક રળી શકે છે, પંચાયત
ઘડી ગામ પંચાયત દ્વારા વન વિભાગની મદદથી ગામમાં વૃક્ષોનુ વાવેતર કરવામાં આવે છે. ગામની પડતર જગ્યાઓમાં વૃક્ષો ઉછેર કરવામાં આવે છે, એટલે કે સરકારી પડતર જમીનને પંયાચત વૃક્ષ વિના પડતર રહેવા દેતુ નથી. સરકારની યોજના મુજબ અરડૂસા અને નીલગીરી જેવા વૃક્ષો મોટા થતા તેને હરાજી કરીને આવક રળવામાં આવે છે.
જેમાં 25 ટકા રકમ વન વિભાગને જાળવણી વળતર તરીકે મળે છે, જ્યારે 75 ટકા રકમ ગ્રામ પંચાયતને મળે છે. આમ સરકારની યોજના મુજબ ગામને મોટી આવક પ્રાપ્ત થતી હોય છે. શરુઆત માં ઘડી ગામને 45 લાખ રુપિયા જેટલી આવક થઇ ચુકી છે. હવે નવા વૃક્ષો તૈયાર થતા વધુ આવક રળી શકાશે.
40 હજાર વૃક્ષો ઉછેર્યા
ઘડી ગામના લોકોનો વૃક્ષો પ્રત્યેના પ્રેમના પરિણામે જ ગામમાં વૃક્ષોનો ઉછેર વધારી શકાયો છે. ગામ દ્વારા અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આમ ઘડી ગ્રામ પંચાયત ઓછી આવક ધરાવતી નાનકડી ગ્રામ પંચાયતોને માટે પગભર થવા ઉદાહરણ રુપ બની છે.