નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટી દેનારા કઠણ કાળજાના મા-બાપ ઝડપાયા, પોલીસે બંનેની ધરપકડ કરી
હિંમતનગર (Himmtnagar) ના ગાંભોઈ નજીક આવેલ UGCVCL કચેરી પાસે આવેલ એક ખેતરમાં બાળકી દાટેલી હાલતમાં મળી આવી હતી. તેને જમીનમાંથી બહાર નિકળતા રડવા લાગી હતી.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર નજીક ગાંભોઈની UGCVCL કચેરી પાસેના ખેતરમાં જીવતી જ દાટેલી હાલતમાં એક બાળકી મળી આવી હતી. બાળકીને બહાર નિકાળી સારવાર માટે મોકલી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેના માતા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાળકીના માતા પિતાની અટકાયત કરી લીધી છે. બાળકીને જીવીત જ દફનાવી દઈ તેનાથી દૂર થઈ જવાનુ પાપ કરનારા માતા પિતા હવે પોલીસના હાથમાં આવી ચુક્યા છે. આ માટે સાબરકાંઠા એસપી (Sabarkantha SP) દ્વારા ગાંભોઈ પોલીસ (Ganbhoi Police) ને માતા પિતા અને ઘટનામાં સામેલ તમામ મદદકરનારાઓને શોધી નિકળવા માટે સુચનાઓ અપાઈ હતી. ત્યાર બાદ પોલીસે અરવલ્લી જિલ્લા ભીલોડા તાલુકામાં તપાસ કરી હતી. આ દરમિયાન મહેસાણાના નંદાસણ ગામેથી તેના માતાપિતા સુધી પહોંચીને તેમની ધરપકડ કરી લીધી છે.
આરોપી માતા-પિતા મંજૂ અને શૈલેષ પોતાની બાળકીને ગુરુવારે સવારે છ વાગ્યાના આસપાસમાં ખેતરમાં દાટી દીધી હતી. બંને જણાં છેલ્લા પંદર દિવસથી સાસરીમાં ગાંભોઈ રહેતા હતા. ગાંભોઈના ચામુંડાનગર વિસ્તારમાં રહી રહ્યા હતા, પરંતુ તેઓએ નંદાસણ ગામે ગયા હોઈ ત્યાંથી રાત્રી દરમિયાન પોલીસે ઝડપી લીધા હતા. બંને જણા ગાંધીનગર જિલ્લાના માણસાના છે. અને તેઓએ અહીં આવીને બાળકીને દફનાવી દીધી હતી.
બાળકીનો પગ જોઈ જમીનમાંથી બહાર નિકાળી
હ્રદયને લાગણીઓથી હચમચાવી દે એવી ઘટનાના આરોપીઓ પોલીસે ઝડપી લીધા છે. આ આરોપ માત્ર કાયદા પૂરતા જ નહીં પણ માનવતા અત્યંત મોટા ગૂનાના પણ ગણી શકાય. લોકો સંતાન માટે દુનિયાની મુશ્કેલમાં મુશ્કેલ પડકારને પાર કરી લેવાની બાધા-આખડીઓ રાખતા હોય છે. પરંતુ ગાંભોઈ નજીક પારકા ખેતરમાં જીવતી બાળકીને જ જમીનમાં જ દાટી દીધી. બે કલાક થી વધુ સમય બાળકી જમીનમાં દટાયેલી રહી, માત્ર તેનો પગ બહાર રહી જતા તેને નવુ જીવન જાણે પ્રાપ્ત થયુ. જેની પર કુદરતના આશિર્વાદ હોય એના જીવને શુ જોખમ હોય એમ જ નવજાત બાળકી જમીનમા દટાઈને પણ જીવતી જ રહી. બાળકીને યુજીવીએસએલના કર્મચારી ઉપેન્દ્રસિંહ ચૌહાણે બહાર નિકાળીને તુરત સારવાર માટે મોકલી આપી હતી.
બાળકી હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલી છે. તેને કૃત્રિમ શ્વાસોસ્વાસની મદદથી સારવાર અપાઈ રહી છે. તેનુ વજન ઓછુ હોઈ આ માટે વિશેષ દરકાર સિવિલની ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે.