Sabarkantha: ડાંગરની વાવણી કરતા ખેડૂતોની વરસાદ વગર ચિંતા વધી, ગત વર્ષના પ્રમાણમાં અડધી જ વાવણી થઈ
Sabarkantha: સાબરકાંઠાનો સલાલ (Salal) પંથક ડાંગરની વાવણી (Paddy crop)માટે જાણીતો છે. વિસ્તારના ખેડૂતો વાવણી માટે યોગ્ય વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાની સિઝન શરુ થવા છતા એક મહિનામાં માંડ બે ઈંચ વરસાદ ટુકડે ટુકડે વરસ્યો છે.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં વરસાદ ખેંચાવાને લઈને ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પ્રાંતિજ (Prantij) તાલુકાના સલાલ વિસ્તારમાં ડાંગરના પાક (Paddy crop)નું વાવેતર વ્યાપક પ્રમાણમાં થતુ હોય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવવાને લઈને ડાંગરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે હજુ સુધી ગત વર્ષના પ્રમાણમાં અત્યાર સુધી 50 ટકા વાવણી ડાંગરના પાકની થઈ શકી નથી.
હાલમાં વરસાદની રાહ ખેડૂતો કાગડોળે જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ વરસતો નથી. દિવસે તડકો અને સાંજે વાદળછાયો માહોલ રહે છે. પરંતુ વાદળો ખેડૂતોને મન છેતરામણાં સાબિત થઈ રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં હજુ પણ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો વાવણી લાયક વરસાદ વગર મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાંતિજ તાલુકામાં ડાંગરની ખેતી જીલ્લામાં સૌથી વધુ થાય છે.
ખાસ કરીને પ્રાંતિજના સલાલ પંથકની ડાંગરની જાત જાણિતી છે. વિસ્તારના ખેડૂતો અહીં ડાંગરની વાવણી કરીને સારી ગુણવત્તાની ડાંગરનું ઉત્પાદન કરતા હોય છે. પરંતુ હાલમાં વરસાદ ખેંચાતા વાવણી ગત વર્ષના પ્રમાણમાં માંડ અડધી થઈ છે. પ્રાંતિજના અમિનપુર, પોગલુ, પલ્લાચાર, સોનાસણ, મોયદ, વદરાડ અને બાકરપુર વિસ્તારના ગામડાઓમાં ડાંગરના પાકનું ઉત્પાદન થતુ હોય છે.
ભૂગર્ભ જળની સમસ્યા
સ્થાનિક પોગલુ ગામના અગ્રણી ખેડૂત નરેન્દ્ર પટેલ કહે છે, વિસ્તારમાં ડાંગર એ મુખ્ય પાક છે. વિસ્તારના ખેડૂતોને માટે ચોમાસુ સિઝનમાં ડાંગરની ખેતી કરવી જમીન અને વિસ્તારના અનુરુપ છે. પરંતુ વરસાદ ખેંચાતા વિસ્તારના ખેડૂતોએ ભૂગર્ભ જળ પર નિર્ભર રહેવુ પડે છે. જેનાથી યોગ્ય વાવણી વરસાદી માહોલ જેવી થઈ શકતી નથી.
જિલ્લામાં 2,393 હેક્ટર વિસ્તારમાં ડાંગરની વાવણી
પ્રાંતિજ તાલુકામાં ચાલુ વર્ષે માંડ 2,385 હેકટર વિસ્તારમાં ડાંગરની વાવણી થઈ છે. જ્યારે હિંમતનગર તાલુકામાં 8 હેકટર વિસ્તારમાં જ ડાંગરની વાવણી થઈ છે. આમ ગત વર્ષે થયેલી વાવણીના પ્રમાણમાં હજુ સુધી માંડ 50 ટકા ડાંગરના પાકની વાવણી થઈ છે. પ્રાંતિજ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ માત્ર 54 મીમી એટલે કે બે ઈંચ નોંધાયો છે. આમ વાવણી લાયક વરસાદ નહીં વરસવાને લઈને ખેડૂતો ભૂગર્ભ જળ આધારે વાવણી કરવા મજબૂર બન્યા છે. જે પાણી અપૂરતુ થઈ પડે એમ છે.