Sabarkantha: સરકારના આદેશ બાદ પણ કેનાલો કોરી ધાકોર, સિંચાઇ વિભાગના દાવા અને વાસ્તવિકતામાં વિરોધાભાસ
ખેતરો વચ્ચેથી કેનાલો પસાર થાય છે પરંતુ હજુ પણ કોરી ધાકોર જોઈને ખેડૂતોએ નિસાસા નાંખવા પડી રહ્યા છે. સરકારે આદેશ કરવા છતાંય હજુ જિલ્લામાં કેનાલોમાં પાણી નથી. જ્યારે સિંચાઈ વિભાગ કહે છે ખેડૂતોની માંગણી નથી.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં હાલમાં એક પણ જળાશયમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યુ નથી. બીજી તરફ સિંચાઈ વિભાગ (Irrigation Department) તરફથી સિંચાઈના પાણી માટે પિયત મંડળીઓને જાણકારી આપવામાં આવી છે, પરંતુ કોઈ જ ખેડૂતોએ પાણીના સંદર્ભમાં માંગ કરી નથી. આમ હવે સ્થિતી એ પેદા થઈ છે કે એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે, સરકારે કેનાલમાં પાણી છોડવા માટે આદેશ આપ્યા છે, પરંતુ કેનાલો હજુય કોરી ધાકોર છે.
જીલ્લામાં માંડ 32 ટકા જેટલો વરસાદ સિઝનમાં અત્યાર સુધી વરસ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જિલ્લામાં 2.28 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી કરવામાં આવી છે. એટલે કે જિલ્લામાં કુલ 98 ટકા વાવણી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મગફળી અને કપાસના પાકનું વાવેતર સારા ચોમાસાની અપેક્ષાએ કરવામાં આવી હતી. પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે.
જુલાઈ અને ઓગસ્ટના દિવસો કોરા જ પસાર થયા છે. શ્રાવણીયા વરસાદે પણ નિરાશ કર્યા છે. આવી સ્થિતીમાં ખેડૂતોની મુશ્કેલી સ્વાભાવિક જ વધી ચુકી છે. આ દરમ્યાન ખેડૂતો માટે હવે કેનાલના પાણી પર જ આશા રહી છે. ખેડૂતોએ પણ કેનાલના પાણી આપવા માટે માંગ કરી છે. ખાસ કરીને હાથમતી જળાશયના કમાન્ડ વિસ્તાના ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ કરી છે.
ખેડૂતો કહે છે પાણી માંગ્યા પણ મળતા નથી
સિંચાઈ વિભાગ દ્વારા પિયત મંડળીઓને સિંચાઈ માટે થઈને કેનાલમાં છોડવા અંગે જાણકારી અપાઈ છે. પરંતુ સિંચાઈ વિભાગનું માનવામાં આવે તો કોઈ જ ખેત પિયત મંડળીએ કેનાલમાં પાણી હજુ સુધી માંગેલ નથી. સિંચાઈ વિભાગ મુજબ હાલમાં ખેડૂતોને 2 પાણી આપી શકાય તેવી સ્થિતી હાલના તબક્કે છે. પીવાના પાણીને રિઝર્વ રાખ્યા બાદ એકાદ બે જળાશયોમાંથી પાણી આપવામાં આવે તેવી સ્થિતી હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યુ હતુ.
જોકે હાથમતી નદીના કમાન્ડ વિસ્તારના ખેડૂતોએ કહે છે કે અમારે હાલમાં સિંચાઈ માટે પાણીની જરુર છે અને અમે આ માટે રાહ જોઈ રહ્યા છે. અમે પાણી અંગે માંગ કરી રહ્યા છીએ. જોકે હજુ કેનાલો કોરી જ છે. હિંમતનગરના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર આરએમ પટેલે કહ્યું હતુ, હાલમાં અમે સરકારના આદેશને લઈ અમે ખેત પિયત મંડળીઓને જાણ કરી છે. સિંચાઈ માટે થઈને અમે જણાવેલ પરંતુ મંડળીઓ તરફથી પાણી અંગે માંગ કરવામાં આવી નથી.
ખેતર પાસે કેનાલ છે પણ પાણી નથી
હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામના સ્થાનિક આગેવાન ધર્મેન્દ્ર પટેલે કહ્યું અમારા વિસ્તારમાંથી કેનાલ પસાર થાય છે, પરંતુ કેનાલમાં પાણી નથી. વિસ્તારમાં વરસાદ વિના પાક મુરઝાઈ રહ્યા છે. જે પ્રમાણે સરકારે આદેશ કર્યો કે પાણી સિંચાઈ માટે અપાશે, પરંતુ અમને જ અહીં પાણી નથી મળી રહ્યા. અમારા વિસ્તારમાં જ હાથમતી જળાશયમાં પાણીનો ઝથ્થો છે.