Sabarkantha: અમદાવાદથી નિકળી પ્રાંતિજ-હિંમતનગર થઇ પસાર થશે બુલેટ ટ્રેન, શરુ કરાઇ કાર્યવાહી
અમદાવાદ અને મુંબઇ બુલેટ ટ્રેન (Bullet Train) નુ કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. હવે અમદાવાદ દિલ્હી રુટને લઇ પ્રક્રિયાની હિલચાલ શરુ થઇ છે. આ માટે હવે સંભવિત ક્ષેત્રોમાં કવાયત શરુ કરાઇ છે.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાંથી બુલેટ ટ્રેન (Bullet Train) પસાર થવાને લઇ પ્રાથમિક કાર્યવાહીની શરુઆત થઇ ચુકી છે. સાબરાકાંઠા જીલ્લાના પ્રાંતિજ (Prantij) અને હિંમતનગર (Himatnagar) તાલુકામાંથી બુલેટ ટ્રેન પસાર થવાની સંભાવનાઓને લઇ અભિપ્રાય મેળવવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. બુલેટ ટ્રેનના સૂચિત રૂટને ધ્યાને રાખીને સ્થાનિક ખેડૂતોનો અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે.
બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો અમદાવાદ-મુંબઇ (Ahmedabad to Mumbai) નો તૈયાર થઇ રહ્યો છે. ત્યારબાદ અમદાવાદ દિલ્હી (Ahmedabad to Delhi) બુલેટ રેલ ફેઝનો બીજો તબક્કો શરુ થઇ શકે છે. આ માટે સંભવિત પ્રાથમિક તૈયારીઓ શરુ થઇ ચુકી છે. જેના અણસાર રુપે હવે સ્થાનિક સ્તરે સર્વે હાથ ધરવાની શરુઆત કરવાની શરુ થઇ છે. જેનાથી અનુમાનો અને અટકળોને બદલે વાસ્તવિક અહેસાસ થવા લાગ્યો છે.
સુચીત રુટ વિસ્તારમાં અભિપ્રાય લેવા માટે એક એજન્સી દ્વારા ખેડૂતો સાથે વાતચીત શરુ કરી છે. જેમાં હિંમતનગર તાલુકાના બેરણાં, સાબરડેરી નજીકના બોરિયા ખુરાંદ અને હડીયોલ ગ્રામ પંચાયત વિસ્તારના 300 જેટલા ખેડૂતોનો અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે. જ્યારે પ્રાંતિજના મજરા અને સાદોલિયા વિસ્તારમાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
જમીનની કિંમતોનો મેળવાઇ રહ્યો છે અંદાજ
જેના દ્વારા તેમની પાસેથી ખેડૂતોનો મત જાણવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. સાથે જ સંભવિત રુટના વિસ્તારના ખેડૂતોને પૂછવામાં આવી રહ્યુ છે કે, જો બુલેટ ટ્રેન તેમના વિસ્તારમાંથી પસાર થશે તો કેવો અહેસાસ થશે. બુલેટ ટ્રેનની સુવિધા જીલ્લાને મળશે તો, કેવુ લાગશે. ઉપરાંત બુલેટ ટ્રેનને લઇને સ્થાનિક વિકાસને સ્પર્શતા મુદ્દાઓ પુછવામાં આવી રહ્યા છે. સાથે જ સંભવિત સંપાદિત થનારી જમીનની સ્થાનિક કિંમતોને પણ જાણવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે.
અરવલ્લીમાં પણ મેળવાશે અભિપ્રાય
આ જ પ્રકારની કાર્યવાહી અરવલ્લી (Aravalli) જીલ્લામાં પણ કરવામાં આવી શકે છે. અરવલ્લીમાંથી પણ બુલેટ ટ્રેન પસાર થવાના સંભવિત રુટને લઇ વિસ્તારમાં સર્વે હાથ ધરાશે. હિંમતનગરના બેરણાં વિસ્તારથી આગળ ડુંગરાળ વિસ્તારો આવેલા છે. જે જેમ જેમ રાજસ્થાન તરફ જવામાં આવે એમ ડુંગરાળ વિસ્તારનુ પ્રમાણ વધતુ જશે. આમ બુલેટ ટ્રેન હિંમતનગર છોડ્યા બાદ સપાટ ભૌગૌલિક વિસ્તારમાંથી પસાર થવાનુ પૂર્ણ થશે અને ડુંગરો અને પાકૃતિક સૌદર્ય ભર્યા વિસ્તારમાંથી પસાર થશે.