Sabarkantha: સેક્રેટરી જેઠે ઉચાપત આચરી અને ભાભીએ જીવ ગુમાવવો પડ્યો, પોલીસે 3 આરોપીને ઝડપ્યા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના મનોરપુર દૂધ મડંળીમાં રૂ. 5.93 લાખની ઉચાપત થઈ હતી. જે ઉચાપતને લઈ થોડાક દિવસ પહેલા ગાંભોઈ પોલીસે 16 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર (Himamtnagar) તાલુકાના મનોરપુરમાં મોટાભાઈ સામે આરોપમાં નાનાભાઈનું ઘર વેરવિખર થઈ ગયુ છે. ‘કરે કોઈ અને ભરે કોઈ’એ પંક્તિ મનોરપુરના ભાવનાબેન પટેલ માટે બંધબેસતી ઠરી છે. ભાવનાબેનના જેઠ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ તેમની પર લોકો મહેણાં મારી રહ્યા હતા. જેને લઈ તેમને લાગી આવતા જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલુ ભર્યુ હતુ. ગાંભોઈ પોલીસે તેમની પર માનસિક ત્રાસ ગુજારનારા ત્રણ શખ્શોની ધરપકડ કરી લીધી છે.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના મનોરપુર દૂધ મડંળીમાં રૂ. 5.93 લાખની ઉચાપત થઈ હતી. જે ઉચાપતને લઈ થોડાક દિવસ પહેલા ગાંભોઈ પોલીસે 16 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં મંડળીના ચેરમેન અને સેક્રેટરીથી લઈને મંડળીના સભ્યોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ ફરિયાદને લઈને આરોપી લલિત પટેલની ભાભી ભાવનાબેનને કેટલાક શખ્શોએ મહેણા ટોણા મારવાના શરુ કર્યા હતા. તમે લોકો ભેગા થઈને ઉચાપત કરેલા પૈસા ભરી દો તેવા મહેણા અવારનવાર મારતા હતા તો તમારા જેઠ લલિતભાઈ પૈસાની ઉચાપત કરીને ભાગી ગયો છે એમ કહેતા હોય ભાવનાબેનને લાગી આવ્યુ હતુ. જેને લઇ આખરે તેઓએ ઝેરી દવા ખાઈ લીધી હતી.
હિંમતનગરના DySP કે.એચ.સૂર્યવંશીએ કહ્યું હતુ કે મનોરપુર ગામની દૂધ મંડળીમાં ઉચાપત આચરવાને લઈને ફરિયાદ નોંધાઈ હતી. જેમાંના એક આરોપીને લઈને તેમના સંબંધી મહિલા પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. જે અંગે મહિલાએ નિવેદન આપ્યુ હતુ. જેના આધારે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
જેઠ સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી
ભાવનાબેન પટેલે ઝેરી દવા ખાઈ લેતા તેઓ બેભાન હાલતમાં મળી આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે તેમના મોત અગાઉ તેઓએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી કહી સંભળાવી હતી. જે મુજબ તેમના જેઠે આચરેલી ઉચાપતની ફરિયાદને લઈ તેમને અને તેમના પરિવારને લઈ આરોપીઓ માનસિક ત્રાસ ગુજારતા હતા.
માનસિક ત્રાસને લઈ આખરે તેઓએ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ. પોલીસે ભાવનાબેનના મોતને પગલે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં તેમની પર ત્રાસ ગુજારનારા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલ આરોપી
1. કમલેશ રામાભાઈ પટેલ 2. અશ્વિન ઉર્ફે મહેશ તુલસીભાઈ પટેલ 3. તુલસીભાઈ રામાભાઈ પટેલ
તમામ રહે. રહે મનોરપુર. તા હિંમતનગર જી. સાબરકાંઠા
પકડવાના બાકી આરોપી
1. પ્રવિણ રામાભાઈ પટેલ 2. ભાર્ગવ કમલેશભાઈ પટેલ 3.રંજનબેન પ્રવિણભાઈ પટેલ
તમામ રહે. રહે મનોરપુર. તા હિંમતનગર જી. સાબરકાંઠા
આ પણ વાંચો: Surat: શહેરમાં મહેકી માનવતા, રિક્ષા ચાલકે દાગીના ભરેલી બેગ મુળ માલિકને કરી પરત