Polo Forest: વરસાદી માહોલમાં પોળો ફોરેસ્ટનો પ્રવાસ માણતા હોય તો 3 દિવસ થોભો, આ કારણથી પ્રવાસીઓ પર લગાવાયો પ્રતિબંધ
પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓને પ્રવેશતા જ પોલીસ અને વન વિભાગના જવાનો તમને રસ્તામાં જ અટકાવી દેવામાં આવશે. કારણ કે 13 જૂન થી 15 જૂન સુધી પ્રવાસીઓ માટે જિલ્લા ક્લેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વરસાદી માહોલમાં પોળો ફોરેસ્ટ વિસ્તારમાં હરવા ફરવા જવા માટે વિચારતા હોય તો ત્રણ દિવસ માટે તમારા કાર્યક્રમને માંડી વાળજો. કારણ કે અહીં પ્રવાસીઓને પ્રવેશતા જ પોલીસ અને વન વિભાગના જવાનો તમને રસ્તામાં જ અટકાવી દેવામાં આવશે. કારણ એ છે કે, સાબરકાંઠા (Sabarkantha) ના વિજયનગર તાલુકામાં રીંછની ગણતરી હાથ ધરાઈ છે. વન વિભાગ દ્વારા ત્રણ દીવસ દરમિયાન રીંછ (Bear) ની ગણતરી કરવામાં આવનાર છે. જેને લઈને જિલ્લા કલેકટર દ્વરાા આ માટે જાહેરનામુ અગાઉ થી બહાર પાડીને પ્રવાસીઓને પોળો ફોરેસ્ટ (Polo Forest) સહિત વિજયનગરના જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રવાસીઓ આગામી બુધવાર સુધી વિજયનગર વિસ્તારના જંગલોમાં પ્રવેશ કરી શકશે નહીં. આમ વિજયનગરમાં આવેલ પ્રસિદ્ધ પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓ ત્રણ દિવસ પ્રવેશ કરી શકશે નહીં.
રક્ષિત અને આરક્ષિત જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવતી હોય છે. જેમાં રીંછ, ઝરખ અને દીપડા સહિતના જંગલી પ્રાણીઓનો સમાવેશ થતો હોય છે. આ રીતે સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના પોળો સહિતના જંગલ વિસ્તારમાં વસતા રીંછની ગણતરી હાથ ધરાઈ છે. 13 જૂન સોમવાર થી 15 જૂન બુધવાર સુધી રીંછની ગણતરી હાથ ધરાનાર છે. નિયમાનુસાર છ વર્ષ બાદ ફરીથી વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. જે મુજબ અગાઉ વર્ષ 2016માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ફરીથી રીંછની ગણના કરવામા આવી રહી છે.
ગણતરી કરવા માટે જંગલ વિસ્તારમાં યોગ્ય માહોલ જળવાઈ રહે અને ચોક્સાઈ પૂર્વક ગણતરી થઈ શકે એ માટે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લા કલેકટર હિતેષ કોયા દ્વારા આ બાબતે જાહેરનામુ અગાઉ બહાર પડવામાં આવ્યુ હતુ અને તેને 15 મી જૂન સુધી અમલમાં રાખવામાં આવ્યુ છે.
પોળો ફોરેસ્ટનુ પ્રવાસીઓને આકર્ષણ
નયનરમ્ય પ્રાકૃતિક સૌદર્ય અહીં છલોછલ ભરેલુ છે. ડુંગરો અને લીલા છમ વૃક્ષો મન મોહી લે છે. 400 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ જંગલ માણવા જેવુ છે. અહીં હજારેક વર્ષ પૌરાણીક શિવ અને જૈન મંદીરોના સમુહ આવેલા છે. ખાસ કરીને જંગલની વાત કરવામાં આવે તો, 450 પ્રકારના ઔષધિઓ છે. તો પોણા ત્રણસો પ્રકારના પંખીઓની કોલાહલ અહીં થતી હોય છે. જંગલમાં રીંછ, ઝરખ, દીપડા જોવા મળે છે. ત્રીસેક પ્રકારની સસ્તન પ્રાણીઓનુ આ ઘર છે. આ ઉપરાંત પોળોના જંગલમાં 32 પ્રકારના સરીસૃપો પણ વસે છે.