શામળાજી થી રાધનપુર નેશનલ હાઈવે માટે જમીન સંપાદનને લઈ ઈડરમાં ખેડૂતોમાં રોષ, કલેકટર કચેરીએ પહોંચ્યા ખેડૂતો
સાબરકાંઠા (Sabarkantha) ના ઇડર વિસ્તારના સાત ગામના ખેડૂતોની ખેતીની જમીન સંપાદન થતા જીલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોધાવ્યો હતો. ઈડરના મણીયોર થી બડોલીને જોડતો નેશનલ હાઇવેનો બાયપાસ રોડ બનાવવાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
શામળાજી થી રાધનપુર (Shamlaji to Radhanpur) વચ્ચે નેશનલ હાઈવે નિર્માણ થનારો છે. આ હાઈવે નિર્માણને લઈ ઈડરમાં બાયપાસ માર્ગ પણ બનાવવામાં આવશે, જે સાબરકાંઠા ઇડર (Idar) ના બડોલીથી મણિયોરને જોડીને પસાર કરવામાં આવનાર છે. જેને લઈ સ્થાનિક ખેડૂતો દ્વારા પોતાની જમીન સંપાદન થવાને લઈને વિરોધ નોંધાવ્યો છે. સાડા ત્રણસોથી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી કરવામાં આવતા જ ખેડૂતો રોષે ભરાયા છે. પોતાની ફળદ્રુપ જમીન હાઈવે નિર્માણમાં સંપાદન થતા ગુમાવવાનો વિરોધ કરી રહ્યા છે. આ માટે શુક્રવારે ખેડૂતો મોટી સંખ્યામાં હિંમતનગર (Himmtnagar) સ્થિત કલેકટર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યુ હતુ.
ઇડરના બડોલી થી મણીયોર વચ્ચેનો નેશનલ હાઈવે બાયપાસ રોડ સાપાવાડા થઈને પસાર થનાર છે. મણીયોર, સદાતપુરા, સપાવાડા, લાલોડા, વાસડોલ, બુધિયા, અને બડોલી ગામના ખેડૂતોના ખેતરમાંથી નેશનલ હાઇવેનો બાયપાસ રોડ નીકળતા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. સાત જેટલા ગામડાઓના 360 જેટલા ખેડૂતોના પોતાના ખેતરમાંથી પસાર થતા બાયપાસ હાઈવેને લઈને વિરાધના મૂડમાં દેખાવા લાગ્યા છે.
આ માટે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનોને પણ પોતાની રજૂઆતો કરી રહ્યા છે. રજૂઆત વડે પોતાની જમીનના સંપાદનને અટકાવવા માટે માંગ કરી છે. આ માટે સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે. હવે જિલ્લા કલેકટરને આ માટે આવેદન પત્ર મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉમટી પડીને આપ્યુ છે.
ઈડર માટે બાયપાસ માર્ગની બે દાયકાથી માંગ
ઇડર શહેરમાં થઈને અંબાજી સ્ટેટ હાઈવે પસાર થાય છે. દિવસે દિવસે વધતા જતા ટ્રાફીકથી લોકો પરેશાન છે. સ્થાનિકો પણ આ માટે છેલ્લા બે દાયકાથી માંગ કરી રહ્યા છે. ઇડર શહેરમાં ટ્રાફીક જામ થવો એ સામાન્ય વાત બની ગઈ છે અને વિસ્તારમાં અવારનવાર ટ્રાફીક જામ સર્જાય છે. તો અગાઉ રાજ્યના મુખ્યપ્રધાને પણ બાયપાસ નિર્માણ કરવાની વાત કહી હતી. પરંતુ હવે બે દાયકાની માંગ બાદ હવે નેશનલ હાઈવે દ્વારા બાયપાસ રોડ નિકાળવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ ખેડૂતોની ખેતી લાયક જમીન સંપાદનમાં જવાને લઈને દુઃખ પ્રગટ કરી રહ્યા છે. ખેડૂતો માટે રોજગારીનુ સાધન ખેતી જ હાથમાંથી કેટલાકને જતુ રહેવાનો ભય સતાવી રહ્યો છે. જેને લઈ ખેડૂતોએ વિરોધ દર્શાવી તેમના વિસ્તારમાંથી જમીન સંપાદન નહી કરવા માંગ કરી છે.