ઈડર બાયપાસને લઈ આ કારણે કરી રહ્યા છે ખેડૂતો વિરોધ, રાધનપુર-શામળાજી સૂચિત ફોર લાઈન હાઈવેથી ખેડૂતોને નુક્શાનની ભીતી
ઈડર વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં પોતાની ખેતી લાયક ફળદ્રુપ જમીન ગુમાવવી પડશે, સૂચિત હાઈવે માટે ખેતરોમાં નિશાન લગાવાયા બાદ ખેડૂતોએ રજૂઆતો કરી છે, હવે ખેડૂતોએ પણ વિરોધના સૂર શરુ કર્યા છે.
શામળાજી થી રાધનપુર (Shamlaji to Radhanpur) વચ્ચે નેશનલ હાઈવે દ્વારા ફોર લાઈન હાઈવે નિર્માણ થનારો છે. આ સૂચિત હાઈવે માટે જમીન સંપાદન કરવા માટેની કાર્યવાહી શરુ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ માટે હાઈવેનો સર્વે હાથ ધરાયો છે. જેમાં ઈડર વિસ્તારમાં ફોર લાઈન હાઈવેને બાયપાસ કરી બહાર શહેરી વિસ્તારથી દૂરથી જ પસાર કરવામાં આવશે. પરંતુ ખેતીની ફળદ્રુપ જમીન સંપાદન થવાના ડરે વિસ્તારના ખેડૂતોએ ઈડર બાયપાસ (Idar bypass) હાઈવેને અન્ય વિસ્તારમાંથી પસાર કરવા માટે માંગ કરી છે. આ માટે સાત જેટલા મોટા ગામડાઓના ખેડૂતોએ એક થઈને વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. જે આવનારી ચૂંટણીઓને ધ્યાને રાખી સ્થાનિક રાજકારણને માટે મુશ્કેલ પ્રશ્ન બની શકે છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી વધુ એક નેશનલ હાઈવે પસાર થનારો છે. આ નેશનલ હાઈવે ફોર લાઈન નિર્માણ કરાશે અને તે શામળાજી થી રાધનપુર સુધીનો હશે. આ માટે તૈયાર કરાયેલા પ્લાન મુજબ હાઈવે પસાર થવાના સૂચિત માર્ગ પર નિશાન લગાવવા માટેની કામગીરી કરવામાં આવી છે. ઈડર વિસ્તારના ખેડૂતો દ્વારા હવે આ હાઈવેના બાયપાસ રોડ પસાર થવાને લઈ વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેમના માટે મુખ્ય આજીવીકાનુ સાધન જ છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે.
13 કિલોમીટર લાંબા બાયપાસ હાઈવે માટે 360 ખેડૂતોની જમીનને સંપાદન કરવામાં આવશે. જે સાત ગામોમાંથી પસાર થનાર છે. તે વિસ્તારના ખેડૂતોએ ખેતીની જમીન ગુમાવવી પડશે. આ માટે સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરી છે કે, ઈડર ડુંગર નજીકના વિસ્તારની નિર્જન અને પથરાળ જમીનને હાઈવે માટે પસંદ કરવામાં આવે તો તેમની અમૂલ્ય જમીન સુરક્ષીત રહી શકે અને વિકાસનુ કાર્ય પણ થઇ શકે.
અન્ય વિસ્તારમાંથી બાયપાસ પસાર કરવાની માંગ
ઈડર ના પૂર્વ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તાર નજીક સપાટ પથરાળ જમીન છે. આ વિસ્તારમાં ખેતી નહીવત છે અને જ્યાંથી હાઈવે પસાર કરવામાં આવે તો ખેતીની ફળદ્રુપ જમીનને સુરક્ષીત રાખી શકાય છે. આ માટે રજૂઆતો કરી છે પરંતુ કોઈ જ રાહતના સમાચાર ખેડૂતોને મળ્યા નથી. ઇડરના બડોલી થી મણીયોર વચ્ચેનો નેશનલ હાઈવે બાયપાસ રોડ સાપાવાડા થઈને પસાર થનાર છે. મણીયોર, સદાતપુરા, સપાવાડા, લાલોડા, વાસડોલ, બુઢીયા, અને બડોલી ગામના ખેડૂતોના ખેતરમાંથી નેશનલ હાઇવેનો બાયપાસ રોડ નીકળતા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. સાત જેટલા ગામડાઓના 360 જેટલા ખેડૂતોના પોતાના ખેતરમાંથી પસાર થતા બાયપાસ હાઈવેને લઈને વિરાધના મૂડમાં દેખાવા લાગ્યા છે.
ફળદ્રુપ ખેતીની જમીન બચાવવા લડત
બડોલી ગ્રામપંચાયતના સરપંચ કલ્પેશ પટેલ કહે છે સૂચીત હાઈવેમાં બડોલીથી મણિયાર સુધીના 7 ગામોમાંથી સાડા ત્રણસોથી વધારે ખેડૂતોની જમીન સંપાદન થનારી છે. જેમાં કૂવા, બોર, તબેલા અને વિશાળ પાણીના આરસીસી હોજ સહિત ખેડૂતોના મકાન બાંધકામ પણ સંપાદીત જમીનમાં જવાનો ડર સતાવી રહ્યો છે. જે વાજબી નથી આ માટે અમે રજૂઆતો કરી છે.
સ્થાનિક ખેડૂતો ઈશ્વરભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલે પણ ટીવી9 સાથેની વાતચીતમાં કહ્યુ હતુ, અમારા માટે ખેતીએ જ આજીવિકાનુ મુખ્ય સાધન છે. આ ગુમાવી દેવાથી અમારે માટે બીજુ કોઈ રોજગારીનુ સાધન રહેશે નહી. બાપ દાદાની વારસાઈની ખેતીની મોટાભાગની જમીન સંપાદનમાં વિસ્તારની ફળદ્રુપ જમીનમાં મગફળી, કપાસ અને અનાજ સહિતની સારી ખેતી થાય છે. રવિ સિઝનમાં ઘઉં જેવા પાક પણ સારા પ્રમાણમાં થાય છે.આવી જમીનમાંથી હાઈવે પસાર કરવાથી ખેડૂતોએ અમારે ખૂબ નુકશાન વેઠવુ પડશે.
ઈડરના ટ્રાફીકની સમસ્યાને હલ કરવી એટલી જ જરુરી
ઈડર શહેરમાં હાલ પણ ટ્રાફીકની સમસ્યા વર્તાઈ રહી છે. પરંતુ ઈડરમાં બે દાયકા જૂની માંગ પુરી થતી નથી. સ્થાનિક લોકો પણ આ સમસ્યાથી પરેશાન થઈ ચુક્યા છે. કારણ કે અંબાજી હિંમતનગર સ્ટેટ હાઈવેનો ટ્રાફીક ઇડર શહેરની મધ્યમાંથી પસાર થાય છે. સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે કે ઈડર શહેરના બાયપાસ રોડ આપવામાં આવે, હવે આ હાઈવેના બાયપાસને યોગ્ય રીતે પસાર કરવામાં આવે તો અંબાજીના ટ્રાફીકને પણ સરળતા મળી શકે અને શામળાજી-રાધનપુર હાઈવેના ટ્રાફીકને પણ યોગ્ય બાયપાસ મળી રહે.