સાબરકાંઠા-અરવલ્લીના શિક્ષકો આજે માસ CL પર રહેવા અડગ, શિક્ષક સંઘ દ્વારા એક દિવસ ફરજથી દૂર રહેવાનો નિર્ણય જારી રાખ્યો
ગુજરાત સરકારે (Government of Gujarat) કર્મચારીઓના વિવિધ મુદ્દાઓનો સ્વિકાર કરીને નિર્ણય જાહેર કર્યો હતો, જેને લઈ મોટા ભાગના કર્મચારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો, પરંતુ શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવાને લઈ વિરોધ જારી રાખ્યો છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આજે શિક્ષકો માસ સીએલ પર જવાના નિર્ણય પર અડગ રહ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના વિવિધ મુદ્દાઓ સ્વિકારી લીધા હોવાની જાહેરાત કર્યા બાદ પણ શિક્ષકોએ પોતાના વિરોધ કાર્યક્રમને જારી રાખ્યો છે. મોડી રાત્રે આ અંગે શિક્ષક આગેવાનો અને અન્ય જિલ્લાના શિક્ષક સંઘો સાથે મળીને આ નિર્ણય જારી રાખવામાં આવ્યો હોવાનુ શિક્ષક સંઘ (Primary Teachers Union) ના અધ્યક્ષે કહ્યુ હતુ. આમ આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો સરકાર સામે વિરોધનો મૂડ જારી રાખશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ ગિરીશભાઈ પટેલે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અમે મોડી રાત્રી દરમિયાન અન્ય સંઘો અંગેની માહિતી મેળવી હતી. જેમાં અમદાવાદ, મહિસાગર, સહિતના અન્ય સંઘોએ પણ આ જ પ્રકારની લાગણી દર્શાવી છે. આમ અમે પણ આ અંગે અમારી માંગને સમર્થન કરવા માટે થઈને માસ સીએલ પર જવાનો નિર્ણય અડગ રાખ્યો છે. જિલ્લાના શિક્ષકો આજે શનિવારે ફરજ પર હાજર નહીં થાય અને એક દિવસની સીએલ મૂકી માંગણીને સમર્થન કરશે.
આ અંગે ગિરીશભાઈએ કહ્યુ હતુ કે, અમે સોશિયલ મીડિયા મારફતે તમામ શિક્ષકોને સીએલ પર જવા અંગેની માહિતી સ્પષ્ટ કરી દીધી હતી. એટલે કે મેસેજ પાઠવી સીએલ પર જવા અંગેનો નિર્ણયને અનુસરવા તમામ પ્રાથમિક શિક્ષકોને જણાવ્યુ હતુ.
અરવલ્લી જિલ્લામાં પણ શિક્ષકો માસ CL પર રહેશે
સરકારના નિર્ણયથીમોટા ભાગના શિક્ષકો નારાજ હોવાને લઈ અગાઉ થી નિશ્ચિત કરેલ કાર્યક્રમ જારી રાખવાનો નિર્ણય શિક્ષક સંઘે કર્યો છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે પણ મીડિયાને કહ્યુ હત કે, માસ સીએલ યથાવત રાખવામાં આવેલ છે. શાળા એ જવાથી મોટા ભાગે શિક્ષકો દૂર રહેશે.
રાજ્ય શિક્ષક સંઘને પણ પત્ર લખી રોષ વ્યક્ત કર્યો
ગુજરાત રાજ્યના શિક્ષક સંઘને આ અંગે પત્ર લખીને સ્થાનિક જિલ્લા સંઘે રોષ વ્યક્ત કર્યો છે. જેમાં જૂની પેન્શન યોજના અમલ કરવા માટે લડાયક કાર્યક્રમ આપ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે 17મી સપ્ટેમ્બરનો માસ સીએલ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હોવાનુ જણાવ્યુ હતુ. જેનાથી રાજ્ય સંઘ સામે શિક્ષકોમાં આક્રોશ અને અસંતોષ તેમજ નારાજગી વર્તાઈ હોવાનુ પત્ર દ્વારા જણાવ્યુ હતુ.
જ્યાં સુધી જૂની પેન્શન યોજના લાગુ ન કરાય અને તેની સર્વસ્વિકૃતિ અને ન્યાયિક ઉકેલ ના આવે ત્યાં સુધી જાહેર કરવામાં આવેલા કાર્યક્રમો યથાવત રાખવામાં આવે તેમ આગ્રહ વ્યક્ત કર્યો હતો. શનિવારના માસ સીએલના કાર્યક્રમને પણ ચાલુ રાખવા અંગે સાબરકાંઠા જિલ્લા સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સંઘને પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી હતી. આમ હવે શિક્ષકોએ પણ સંઘના નિર્ણયને સમર્થન આપતા ફરજ પર હાજર થવાને બદલે માસ સીએલ પર રહેવાના નિર્ણય પર અડગ રહ્યા છે.