Sabarkantha: જળાશયોના તળીયા દેખાવ લાગ્યા, હિંમતનગર શહેર સહિતને પિવાના પાણીની તંગી સર્જાવાની ભીતી!
ગુહાઈ જળાશય (Guhai Reservoir) તળીયા ઝાટક થઈ જતા મે મહિના અંત સુધીમાં પાણીનો પુરવઠો બંધ થઈ જવાની ચિંતા સતાવવા લાગી છે. હિંમતનગર શહેર ઉપરાંત 42 ગામડાંઓને ગુહાઈમાંથી પિવાનુ પાણી અપાય છે.
સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈને 14 જેટલા જળાશયો આવેલા છે. જેમાંથી મોટા ભાગના જળાશયોના તળીયા દેખાઈ ચુક્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર (Himmatnagar) નજીક આવેલા ગુહાઈ જળાશય (Guhai Reservoir) ની વાત કરવામાં આવે તો હવે તેમાં પાણીનો જથ્થો સમાપ્ત થઈ જવા આવ્યો છે. ગુહાઈ જળાશય યોજના એ જિલ્લામાં મહત્વનો ડેમ માનવામાં છે. તેના દ્વારા સિંચાઈ અને પિવાનુ પાણી મળી રહે છે. પરંતુ તેના જ તળીયા દેખાવા લાગતા હવે ઉનાળાના દિવસો કપરા વિતવા શરુ થાય તેવી સ્થિતી જણાઈ રહી છે.
ગુહાઈ જળાશય યોજના બનાવવામાં આવ્યો ત્યારથી તે મોટે ભાગે ચોમાસામાં છલકાતો હોતો નથી, આમ છતાં પણ તે જિલ્લાના લોકો માટે ખૂબ મહત્વનુ સ્થાન ધરાવે છે. ગુહાઈ યોજના દ્વારા હિંમતનગર શહેર અને આ ઉપરાંત 42 થી વધુ ગામડાઓને પિવાનુ પાણી પુરુ પાડે છે. જેમાં ઈડર તાલુકાના 17 જેટલા અને હિંમતનગર તાલુકાના 25 જેટલા ગામડાઓને પાણી નો પુરવઠો પુરો પાડે છે. પરંતુ હવે તળીયા દેખાવા લાગતા એક સાગમટે હિંમત નગર શહેર અને આસપાસના બંને તાલુકાઓના ગામડાઓના લોકોનો જીવ અદ્ધર થવા લાગ્યો છે.
હાલમાં ગુહાઈ જળાશયની વાત કરવામાં આવે તો, માંડ 6 લાખ કિલોલીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેની સામે હાલમાં પ્રતિદીન 20 હજાર કિલોલીટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જે જોતા હવે માંડ મે માસના અંત સુધી પાણીનો પુરવઠો પુરો પાડી શકાય એમ છે. આમ હવે જૂન માસની શરુઆતે જ પિવાના પાણીની તંગી વધુ મુશ્કેલ બની ચુકી હશે.
આ અંગે હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એએમ પટેલે જણાવ્યુ હતુ કે, ગુહાઈમાં પાણીનો જથ્થો મર્યાદીત છે. જે જથ્થો આ માસના અંત સુધી આપી શકાય એટલો છે, જોકે નર્મદા આધારીત પાણી મેળવવામાં આવી રહ્યુ છે. જોકે આમ છતાં પાણી માટે આ કુદરતી જથ્થો પૂરતો નથી.
અરવલ્લી જિલ્લામાં પણ આવી સ્થિતી
જિલ્લામાં આવેલા મેશ્વો, માઝૂમ અને વાત્રક જળાશયોની સ્થિતી પણ વધારે સારી નથી. જોકે તેમાં હાલતો ઉનાળો હેમખેમ પસાર થઈ જશે તે વાતની રાહત છે. મેશ્વોમાં 24 ટકા અને માઝૂમમાં 35 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જોકે હાથમતી જળાશયમાં 7.50 અને વાત્રક જળાશયમાં 18.30 ટકા જળ જથ્થો હાલમાં ઉપલબ્ધ છે.
સાબરકાંઠા ના જળાશયોની સ્થિતી (જળ જથ્થાની ટકાવારી
- ગુહાઈ જળાશય: 08.02 ટકા
- હરણાવ જળાશય: 20.32 ટકા
- ખેડવા જળાશય: 16. 38ટકા
- ગોરઠીયા જળાશય: 22.05 ટકા
- જવાનપુરા જળાશય: 35.80 ટકા