હિંમતનગર ST ડેપોમાં સલામતીના નામે મીંડુ, CCTV કબૂતર ઘર બન્યા, પોલીસે ધ્યાન દોર્યુ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી
દૈનિક 25 થી 30 હજાર લોકો બસ સ્ટેશનમાં મુસાફરીના હેતુથી અવર જવર કરતા હોવા છતાં સલામતી માટેની વ્યવસ્થા શૂન્ય છે, CCTV લાગલગાટ 2 વર્ષથી બંધ હાલતમાં છે અને હવે કબૂતર માટે ઘર બન્યા છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ એસટી બસ ડેપોમાં પ્રતિદિવસ 30 હજારથી વધારે મુસાફરોની અવરજવર રહેતી હોય છે. અહીં ભારે ભીડ રહેવા છતાં ડેપોમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. આ માટે પોલીસ દ્વારા તેને ફરીથી શરુ કરવા માટે પણ જાણ કરાઈ છે. તેમ છતાં હજુ બંધ હાલતમાં છે. એસટી ડેપોમાં આંતર રાજ્ય બસોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં રાજ્ય બહારથી મુસાફરો પણ આવ જા કરતા હોય છે.
વહેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ હિંમતનગર એસટી બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મુસાફરીના હેતુથી અવરજવર કરતા હોય છે. કોઈના કિંમતી ઘરેણાનુ જોખમ રહેલુ હોય છે. તો વળી વિદ્યાર્થીઓને અસામાજીક તત્વો દ્વારા પરેશાની કરવાની ઘટનાઓ અનેકવાર બની છે. મહિલાઓના શૌચાલયમાં યુવાન ઘૂસીની છેડતી કરવાની ઘટનામાં પોલીસને બોલાવવાની ઘટનાય અગાઉ નોંધાઈ છે.
તસ્કરોને મોકળુ મેદાન
હિંમતનગર એસટી ડેપોમાં રોજબરોજ 30 હજારથી વધારે સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. તહેવારોમાં આ ભીડનો આંક વધી જતો હોય છે. સાથે જ 8 થી 10 હજાર જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અવરજવર કરતા હોય છે. જોકે બસ પ્લેટફોર્મ પર આવે ત્યારે ભીડમાં તકનો લાભ ઉઠાવીને ચોરી આચરતા ઇસમો ચોરીને સરળતાથી અંજામ આપતા હોય છે. રોજબરોજ મુસાફરોના સામાનની ચોરી, પોકેટ ચોરી અને ખિસ્સા કપાવા એ સામાન્ય બાબત બની ચુકી છે.
ચોરી થવાથી પિડીત મુસાફરો પોલીસને જાણ કરતા હોય છે, પરંતુ પોલીસ પણ સીસીટીવી બંધ હોવાના કારણે આરોપી સુધી પહોંચવામાં સફળ રહેતી નથી. ત્યારે રોજબરોજ મુસાફરી કરતા વાહન ચાલકો સીસીટીવી કાર્યરત કરવા અને પોલીસ ચોકી બનાવવા માટે રજૂઆત પણ કરી ચૂક્યા છે. આમ છતાં હજુ કોઈ જ નિરાકરણ આવ્યુ નથી.
ડેપોએ ઉચ્ચ સ્તરે જાણ કરી, જવાબની રાહ જોવાઈ રહી છે
હિંમતનગર બસ ડેપોમાં ચોરીના બનાવો અટકાવવા માટે વર્ષો અગાઉ 10 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા બે વર્ષ જેટલા સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જોકે સીસીટીવી બંધ હોવાનુ જગજાહેર છે અને તે કેમેરા જોઈને જ ખ્યાલ આવી જાય એમ છે. જેને લઈ ચોરીઓ આચરતા તસ્કરો કોઈના ડર વિના ચોરી આચરી રહ્યાં છે. હિંમતનગર ડેપો મેનેજરે કહ્યુ હતુ કે, ડેપો મેનેજર ચેતન પટેલે ટીવી9 સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, પોલીસ દ્વારા અમને આ અંગે જાણ કરવામાં આવી છે. સીસીટીવી કાર્યરત કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ઉચ્ચ સ્તરે લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે.