સોખડા સંપ્રદાયમાં બે ઉભા ફાડચા થઈ ગયા બાદ શિખામણ યાદ આવી ! સંતોએ કહ્યું અમારી પાસે હરિપ્રસાદ સ્વામીની શિખામણ રૂપી સંપત્તિ
રાજકોટમાં (Rajkot)પ્રબોધસ્વામીએ સ્નેહમિલન આયોજિત કર્યું હતું તે દરમિયાન સંતોએ નિવેદન આપ્યું હતું કે અમારી પાસે હરિપ્રસાદ સ્વામીની શિખામણ રૂપી સંપત્તિ છે.
વડોદરાના સોખડા (Haridham Sokhda)સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ વચ્ચે રાજકોટમાં પ્રબોધસ્વામી સહિતના સંતો દ્વારા સ્નેહમિલન (Snehmilan)આયોજિત કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન દરમિયાન પ્રબોધસ્વામી જૂથના ગુરૂપ્રસાદ સ્વામી અને સુગ્નેય સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીએ મંદિરના પાયા માંડીને થી ધજા સુધીનું સોખડા હરિધામનું નિર્માણ કરાવ્યું હતું. આજે ભલે આર્થિક સંપતિ ન હોય, પરંતુ ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આપેલી આત્મીયતાની શિખામણ નામની મોટી સંપત્તિ સંપત્તિ અમારી પાસે છે.
સંતોએ એમ પણ કહ્યું હતું કે ગુરૂ હરિપ્રસાદ સ્વામીની જ્યારે કૃપા થશે, ત્યારે તેમની ઇચ્છા પ્રમાણે નવા ધામનું નિર્માણ થશે. સંતોએ એમ પણ ઉમેર્યુ હતું કે, પ્રબોધ સ્વામી અને તેમની સાથે રહેલા સંતોએ ક્યારેય પણ આર્થિક સંપતિ તરફ ધ્યાન આપ્યું નથી. નોંધનીય છે કે સ્નેહમિલન બાદ ધોરાજી , ઉપલેટા, જૂનાગઢ અને માણાવદર ખાતે પ્રબોધસ્વામી સહિતના સંતો વિચરણ કરશે. આ વિચરણ બાદ આગામી 8 જૂને 50મો દીક્ષા મહોત્સવ યોજવામાં આવશે.
સોખડા હરિધામના મહંત પૂજય હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ સતત હરિધામ સોખડા મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ કોર્ટ સુધી પહોચ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ ઉકેલવા માટે મળેલી પ્રથમ સમાધાન બેઠકમાં બંને પક્ષોએ સમાધાન માટે તૈયારી દર્શાવી હતી અને બંને પક્ષો દ્વારા આશ્રમમાં શાંતિ સ્થપાય અને પહેલાની જેમ વાતાવરણ કેળવાય તેવા પ્રયાસ હાથ ધરાયા હતા. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સોખડા હરિધામ મંદિરના ગાદી ને લઈને વિવાદ ચાલી રહ્યો છે જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીએ ગેરકાયદેસર રીતે સાધુ-સંતો અને હરિભક્તોને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ સાથે હેબિયર્સ કોપર્સની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારાં વચગાળાનો હુક્મ આપીને બન્ને પક્ષને સમાધાન માટે હકારાત્મક વલણ રાખવા નિર્દેશ કર્યો હતો.