Rajkot : મગનું નામ મરી નથી પાડી રહ્યા રાજકીય ‘નરેશ’ ! ફરી સી.આર.પાટીલ સાથે એક મંચ પર જોવા મળશે નરેશ પટેલ
એક તરફ નરેશ પટેલના (Naresh Patel) કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ તદ્દન વિરોધાભાસી દ્રશ્યોથી રાજકીય માહોલ ગરમાયો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CRPatill) અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) ફરી એકવાર એક મંચ પર જોવા મળશે. રાજકોટમાં (Rajkot) યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં બંને નેતાઓ સામેલ થશે. રાજકોટના મવડી વિસ્તારમાં બંને નેતાઓને એક સાથે પોસ્ટર પણ જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, એક તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ તદ્દન વિરોધાભાસી દ્રશ્યોથી રાજકીય માહોલ ગરમાયો છે.
સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળશે
આ પહેલો એવો પ્રસંગ નથી કે સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળશે. આ પહેલાં જામનગરમાં (Jamnagar) પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા હતા. જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ (MLA Hakubha Jadeja) રામ કથાનું આયોજન કર્યું હતું. જેમાં બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.જે તે સમયે નરેશ પટેલની ભાજપ સાથે નિકટતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જો કે નરેશ પટેલ આજદીન સુધી મગનું નામ મરી પાડી રહ્યા નથી.
રાજકીય પ્રવેશ અંગે નરેશ પટેલની તારીખ પે તારીખ….!
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના (Khodaldham chairman Naresh Patel) રાજકીય પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.સુત્રોનુ માનીએ તો નરેશ પટેલ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે ગઈ કાલે નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ હતી. નરેશ પટેલ હાલમાં જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે હાલ પાટીદાર નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અંગે સશપેન્સ યથાવત છે.