Rajkot: શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડાયું, જોકે સ્વચ્છતાના અભાવે પાણી ન પહોંચવાનો ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે કેનાલ સ્વચ્છ કર્યા વિના પાણી છોડાય એટલે કેનાલમાં ઘણી વાર ભંગાણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આવી પરિસ્થિતિમાં તો ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ઉભા પાકને વધારે નુકસાન થાય છે.
રાજકોટના ધોરાજીના શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં એક તરફ આનંદ છે તો બીજી તરફ કેનાલ તૂટવાની ચિંતા વધી છે શિયાળાના પાક માટે ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે ભાદર 1 ડેમમાંથી સિંચાઇનું પાણી કેનાલમાં છોડાયું છે. શિયાળુ પાકના પિયત માટે સિંચાઇનું પાણી છોડવામાં આવ્યું છે. જો કે પાણી છોડાતા એક તરફ ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ ચિંતા વધી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની ક્યારેય સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે કે કેનાલમાં ઠેર ઠેર ભંગાણ પડી જાય છે. એટલું જ નહીં સાફ સફાઇ વિના પાણી છોડાતા છેવાડા ખેતરો સુધી પાણી ન પહોંચતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેનાલમાં પાણી છોડવામાં આવે તેપહેલા કેનાલની સફાઈ કરવામાં આવતી હોય તો ખેડૂતોને ચોખ્ખુ પાણી મળી રહે તેમજ પાણી ખેતર સુધી પહોંચતા કોઈ અવરોધ નડે નહીં.
બે વર્ષ અગાઉ ખેડૂતોએ જાતે જ કરી હતી કેનાલની સફાઈ
આવી સમસ્યાનો ખેડૂતોને અગાઉ પણ સામનો કરવો પડ્યો હતો. બે વર્ષ પહેલા પણ ખેડૂતોએ ભાદર ડેમની મુખ્ય કેનાલની જાતે જ સફાઈ કરી હતી. આથી ખેડૂતો હવે આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેનાલની સફાઈ ઘણી મોડી કરવામાં આવે છે તેવી પરિસ્થિતિમાં ઘણી વાર સિંચાઇ માટેના પાણીનો સમય પણ જતો રહે છે તો સંબંધિત અધિકારીઓએ અમારી સમસ્યા સમજીને તેને યોગ્ય ન્યાય આપવો જોઈએ.
સાથે જ ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે કેનાલ સ્વચ્છ કર્યા વિના પાણી છોડાય એટલે કેનાલમાં ઘણી વાર ભંગાણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આવી પરિસ્થિતિમાં તો ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ઉભા પાકને વધારે નુકસાન થાય છે. દર વર્ષે સર્જાતી આવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ કહ્યું હતું કે સમયસર પાણી આપતા પહેલા જો કેનાલની સફાઈ કરવામાં આવે તો ખેડૂતો માટે વધારે રાહત રહેશે.