Rajkot: 21 કરોડના ખર્ચે તૈયાર કરેલો અંડરબ્રિજ પાણીમાં! આમ્રપાલી અંડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયા
આમ્રપાલી બ્રિજની તિરાડોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો તેમજ દિવાલોની તિરાડની સાથે સાથે છત પરથી પણ પાણી ટપકતું જોવા મળ્યું હતુ. આ બ્રિજનું કામ એક વર્ષમાં પુરૂ થયુ હતુ,
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા 21 કરોડ રૂપિયાના ખર્ચે આમ્રપાલી અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ અંડરબ્રિજમાં વગર વરસાદે પાણીનો ધોધ વહી રહ્યો છે, જે નબળા કામની ચાળી ખાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં શનિવાર અને રવિવારે બે દિવસ મળીને કુલ 4 ઈંચ જેટલો વરસાદ આવ્યો હતો અને આ ચાર ઈંચ વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી ગઈ.
આમ્રપાલી બ્રિજની તિરાડોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો તેમજ દિવાલોની તિરાડની સાથે સાથે છત પરથી પણ પાણી ટપકતું જોવા મળ્યું હતુ. આ બ્રિજનું કામ એક વર્ષમાં પુરૂ થયુ હતુ, પરંતુ જે રીતે પાણી ભરાયું છે તેને જોતા આ કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. વગર વરસાદે પાણી ભરાવાને કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે.
બ્રિજમાં પાણી નીકળવા અંગે રાજકોટના મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતુ કે આમ્રપાલી અંડરબ્રિજના નિર્માણ અને તેની જાળવણીની જવાબદારી રેલવે પાસે છે. રાજકોટ મહારનગરપાલિકા દ્વારા આ કામગીરી રેલવેને સોંપવામાં આવી હતી. જો કે બ્રિજમાં પાણી પડતું હોવાની ફરિયાદ અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવશે અને તાત્કાલિક તેનું સમારકામ થાય તેવો આદેશ આપવામાં આવશે.
અગાઉ પણ વરસાદમાં બ્રિજમાં પાણી ભરાયું હતું
આમ્રપાલી બ્રિજ (Amrapali Bridge) તૈયાર થતાની સાથે જ બ્રિજમાં વરસાદી પાણી ભરાયું હતુ. એક રિક્ષાચાલક બ્રિજના આ ભરાયેલા પાણીથી રીક્ષા સાફ કરતો હોવાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. જો કે ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્યાં પાણી ન ભરાય તે માટે વધારાના સબમર્સિબલ મોટર મૂકીને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પ્રશ્ન તો હલ થયો તેવામાં હવે નવો પ્રશ્ન આવીને ઉભો થયો અને આ વખતે બ્રિજની દિવાલોમાંથી પાણી નીકળતા તંત્ર સામે નવી મુસીબત આવી છે.
આ પણ વાંચો – jammu kashmir અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ, બીએસએફ-સીઆરપીએફના કેમ્પ નષ્ટ, જુઓ વીડિયો
આ પણ વાંચો – ગુજરાતમાં નૌસેના મથકથી ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોનને ગોળી મારીને તોડી પડાશે, ભારતીય નૌસેનાએ આપી ચેતવણી