Rajkot ના રાજ પરિવારની વારસાઇ જમીન પર પ્રાંત અધિકારીનો ચુકાદો,રાજવી માંધાતાસિંહને લાગ્યો ઝટકો
રાજકોટમાં રાજવી પરિવારની વારસાઇ જમીનમાં બહેન અંબાલિકા દેવીનો હકક જતો કરવાની નોંધ પાડી શકાય નહિ તેવો ચુકાદો પ્રાંત અધિકારીએ આપ્યો છે.
રાજકોટ(Rajkot) ના રાજવી પરિવારની મિલ્કતના વિવાદ કેસમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા(Mandhata singh Jadeja) ને ઝટકો લાગ્યો છે.માધાપર અને સરઘારની કરોડો રૂપિયાની જમીનમાં તેમના ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીનું નામ કમી કરવાની માધાંતાસિંહ કરેલી અરજી અંગે બહેન અંબાલિકા દેવીએ વાંધો ઉઠાવ્યો હતો અને આ અંગે પ્રાંત અધિકારી સમક્ષ વાંધો રજૂ કરીને તકરારી કેસ દાખલ કર્યો હતો .
જે પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખ્યો છે અને રાજવી પરિવારની વારસાઇ જમીનમાં બહેન અંબાલિકાદેવીનો હકક જતો કરવાની નોંધ પાડી શકાય તેમ ન હોવાનો ચુકાદો આપ્યો છે.પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વારસાઇ જમીનમાં કોનો હક છે તે અંગે સિવીલ કોર્ટનો જે નિર્ણય આવશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે તેવું જણાવ્યું હતુ.
આ અંગે સિવીલ કોર્ટમાં કેસ પણ દાખલ કરેલ
માંધાતાસિંહના ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીએ પોતાના દાવામાં કહ્યું હતુ કે વડીલોપાર્જીત જમીનમાં તેમનો પાંચમા ભાગનો હક્ક હિસ્સો રહેલો છે.આ અંગે સિવીલ કોર્ટમાં કેસ પણ દાખલ કરેલ છે.એટલું જ નહિ અંબાલિકા દેવીએ એવો પણ દાવો કર્યો હતો કે માંધાતાસિંહે ભાઇ બહેનના સબંધને અસર થાય તે રીતે વિશ્વાસઘાત કરીને આશાપુરા માતાજીના મંદિરનો હક જતો કરવા માટે જે લખાણ કર્યું હતુ તેનો દુરપયોગ કરવામાં આવ્યો છે.
જ્યારે વડિલોપાર્જીત જમીનમાં દિકરા અને દિકરીનો સમાન હક હોય છે જેથી માંધાતાસિંહ જે વસિયતનામાની વાત કરી રહ્યા છે તે પણ અમાન્ય હોવાનો દાવો કર્યો હતો..આ અંગે સિવીલ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.
અમારી સિવીલ કોર્ટમાં કેસ ચાલું છે-અંબાલિકા દેવીના વકીલ આ અંગે અંબાલિકા દેવીના વકીલ કેતન સિંધવાએ કહ્યું હતુ કે વડીલોપાર્જીત મિલકતમાં અંબાલિકાદેવીનો પાંચમો હક સીધી રીતે મળી શકે છે.આ અંગે તેઓએ સિવીલ કોર્ટમાં પણ દાવો કર્યો છે જેની આગામી દિવસોમાં સુનવણી હાથ ધરાશે.
વકીલના કહેવા પ્રમાણે અંબાલિકાદેવીના પિતા શિક્ષિત હતા તેઓ દિકરા દિકરી વચ્ચે ભેદ ન કરી શકે તેથી વારસાઇમાં જે વિસંતતા છે કે દિકરીને નિશ્વિત રકમ બાકીની તમામ મિલક્ત દિકરાના નામે તે વાત ગળે ઉતરે તેવી નથી તેથી આ અંગે લડત ચાલુ રાખવામાં આવશે.
60 દિવસમાં કલેક્ટરને અપીલ કરી શકાશે
પ્રાંત અધિકારીએ આપેલા ચુકાદો જો કોઇને માન્ય ન હોય તો 60 દિવસની અંદર જિલ્લા ક્લેક્ટરને અપીલ કરવામાં આવશે અને આ અંગે જો અપીલ થશે તો જિલ્લા કલેક્ટર દ્રારા બંન્ને પક્ષને સાંભળવામાં આવશે.રાજકોટના રાજવી પરિવાર દ્રારા વિવાદ અંગે વસિયતનામાંના આધારે અને તમામ લોકોની હાજરીમાં ફાળવણી થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જો કે અંબાલિકાદેવીએ આ ગ્રાહ્ય ન હોવાનો દાવો કરતા વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો : YouTube ના આ પ્રોગ્રામ સાથે જોડાઇને 20 લાખથી વધુ લોકો કરી રહ્યા છે કમાણી, જાણો તમે કઇ રીતે કમાઇ શકો છો ?
આ પણ વાંચો : Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વિરુધ્ધ અરેસ્ટ વૉરંટ, ધરપકડ કરવા નિકળી નાસિક પોલીસ