RAJKOT :શહેરીજનોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થયાનો RMCનો દાવો, પાત્રતા ધરાવતા 93 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
VACCINATION IN RAJKOT : રાજકોટ શહેરની 12 લાખની વસ્તીમાંથી અત્યાર સુધીમાં 9.24 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જે પાત્રતા ધરાવતા નાગરીકોની કુલ વસ્તીના 93 ટકા થાય છે.
RAJKOT : કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એ પહેલા રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે રાજકોટ શહેરવાસીઓમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઇ છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ દાવો શહેરમાં થયેલા રસીકરણને આધારે કર્યો છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યના આરોગ્ય વિભાગ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીના આંકડાઓ જોઈએ તો રાજકોટ શહેરમાં પાત્રતા ધરાવતા એટલે કે 18 વર્ષથી ઉપરના લોકોની વસતીના 93 ટકા લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
રાજકોટ શહેરની 12 લાખની વસ્તીમાંથી અત્યાર સુધીમાં 9.24 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જે પાત્રતા ધરાવતા નાગરીકોની કુલ વસ્તીના 93 ટકા થાય છે, જયારે અત્યાર સુધીમાં 3.23 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે, જે પાત્રતા ધરાવતા નાગરીકોનો વસ્તીના 33 ટકા થાય છે.
આ મોટાપાયે થયેલા રસીકરણના આંકડાઓ પરથી રાજકોટ મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે શહેરના નાગરીકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઇ છે. શહેરમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થવાથી સંક્રમણ થવાની શક્યતા ઓછી છે. જો કોઇ વ્યક્તિ સંક્રમિત થાય તો તેઓને ઓછી અસર થવાની શક્યતા છે.
આ સાથે જ 18 વર્ષથી નીચેના બાળકોને પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવા માટે મોટા પાયે કામગીરી થઇ રહી છે. શહેરમાં 18 વર્ષથી નીચેના બાળકોમાં જેઓ ગંભીર બિમારી ધરાવે છે તેઓની યાદી તૈયાર રખાઇ. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ પણ કરી છે.