Rajkot: મનપાનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનતા પહેલા જ વિવાદોમાં ! આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી
રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પગલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના (Jangleshwar) 140 પરિવારના કાચા મકાનો દૂર કરવા પડે તેવી પરિસ્થિતિ છે,જેને લઈને મામલો ગરમયાો છે.
Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાનો (RMC) મહત્વકાંક્ષી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ હાઈકોર્ટમાં(Highcourt) પહોંચ્યો છે. રિવરફ્રન્ટ બનાવવા માટે જંગલેશ્વર વિસ્તારના 140 જેટલા પરિવારને મહાનગરપાલિકાએ તેમનો બાંધકામ દૂર કરવા માટે નોટિસ પાઠવી છે. જેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે, જેને લઇને હાઇકોર્ટે બાંધકામ દૂર કરવા મંગળવાર સુધીનો સ્ટે આપ્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવા માગ કરવામાં આવી
રાજકોટમાં પ્રસ્તાવિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પગલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના (Jangleshwar) 140 પરિવારના કાચા મકાનો દૂર કરવા પડે તેવી પરિસ્થિતિ છે ,જે મામલે કોર્પોરેશનને આ પરિવારોને નોટિસ પાઠવી બાંધકામ દૂર કરવા માટે કહેવામાં આવ્યુ છે, જો કે તમને અમને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવામાં નથી આવી જેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં તેની અરજી દાખલ કરવામાં આવી છે અને આ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવામાં આવે તેવી માંગ કરાઇ છે.તમને જણાવી દઈએ કે, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા આજથી આ બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવાની હતી પરંતુ કોર્ટે હાલ પૂરતી બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા પર સ્ટે આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે RMCને કરી ટકોર
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ આફતાબ હુસૈન અન્સારી અને દેવ કેલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, જંગલેશ્વર વિસ્તારમાં ઘણા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને હવે તેમને નોટિસ આપવામાં આવી છે પરંતુ તેમની પાસે રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ મામલે કોર્ટે આવતીકાલ સુધી તેમના રહેણાંક મકાનો દર્શાવતા ફોટોગ્રાફર રજૂ કરવા માટે પણ કહ્યું છે.
સાથે જ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર (Arvind Kumar) અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ટકોર કરી કે, જો આ બાંધકામ અનઅધિકૃત હોય તો આટલા વર્ષો સુધી કંઈક ન કર્યું અને હવે તેઓ નોટિસ આપી રહ્યા છે. સાથે જ ખંડપીઠે અમદાવાદના રિવરફ્રન્ટ નું ઉદાહરણ પણ તાકતા કહ્યું કે જે વ્યવસ્થા અને અયોજન થકી અમદાવાદ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો, એજ તર્જ પર રાજકોટનો રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.