Rajkot: પાણી ભરાવાની ફરિયાદ પહેલા જ થશે સમસ્યાનો ઉકેલ, જાણો શું છે કોર્પોરેશનનો એકશન પ્લાન
રાજકોટ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 71 જેટલી ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સૌથી વધારે પાણી ભરાય છે તેવા 23 જેટલા વિસ્તારોને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
Rajkot: હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે.શહેરમાં વિવિધ સ્થળોએ વરસાદ આવતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ રહી છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પાણી ભરાય છે તેને રેડ ઝોન અને મઘ્યમ પાણી ભરાય છે તેને યલો ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.
વરસાદમાં લોકો ફરિયાદ કરે તે પહેલા પાણીનો નિકાલ કરવાનો RMCનો પ્લાન
મનપાએ આ યાદીમાં 23 જેટલા લોકેશનને રેડ ઝોન અને 17 જેટલા સ્થળોને યલો ઝોનમાં સામેલ કર્યા છે.આ ઉપરાંત આઇ વે પ્રોજેક્ટથી તમામ સ્થળોએ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી જ્યાં પણ પાણી ભરાયું હોય તે સ્થળના ફોટો પાડીને સીધા જવાબદાર ટીમને મોકલવામાં આવે છે અને ત્યાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરી શકાય.શહેરમાં ત્રણેય ઝોનમાં મળીને કુલ 71 જેટલી ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે..
લોકો ફરિયાદ કરે તે પહેલા તેનું નિરાકરણ કરવાનો પ્રયાસ-મ્યુનિસિપલ કમિશનર
ટીવીનાઇન સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનપ અમિત અરોરાએ કહ્યું હતુ કે મોન્સુન માટે અધિકારીઓનું એક વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે જે વિસ્તારમાં પાણી ભરાય છે તેના ફોટો સાથે આ ગ્રુપમાં અપલોડ કરવામાં આવે છે. અને જવાબદાર ટીમ દ્રારા તેના નિકાલ માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મનપાનો ઉદ્દેશ લોકો ફરિયાદ કરે તે પહેલા તેના નિકાલ કરવાનો છે.ટૂંકમાં ઓછા સમયમાં જલદી પાણીનો નિકાલ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ભવિષ્યમાં જે સ્થળે રસ્તાના લેવલીંગ અને બ્રિજની ડિઝાઇનના પ્રશ્નો છે તે હલ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે.
આ સ્થળોએ ભરાતા પાણી તંત્ર માટે પડકાર રાજકોટમાં સામાન્ય વરસાદ પડે તો પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાય જાય છે.આવા વિસ્તારો જોઇએ તો રામાપીર ચોકડી થી માધાપર ચોકડી 150 ફુટ રિંગરોડ વિસ્તાર,માલવિયા કોલેજ ચોક,ટાગોર માર્ગ,યાગ્નિક રોડ,નાનામૌવા સર્કલ,રૈયા રોડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જો વધારે વરસાદ પડે તો માલવિયા કોલેજ અંડર બ્રિજ અને રેલનગર અંડર બ્રિજમાં પણ પાણી ભરાય છે જેના નિકાલની વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે.
શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 71 જેટલી ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે, કેટલાક સ્થળોએ રસ્તાના ઢાળ, બ્રિજની ડિઝાઇન, રસ્તામાંથી પાણીના નિકાલ જેવી સમસ્યાઓ છે જે સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવશે.
આ પણ વાંચો: OMG: સ્પર્મ વ્હેલની ‘ઉલટી’ની કિંમત 26 કરોડ? તસ્કરી કરતા 5 ઝડપાયા, જાણો વિગત