Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ (Rajkot) નજીક કાગદડી ગામમાં પણ ભારે તારાજી સર્જાઈ છે.
રવિવારે રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા (Rain) મન મૂકીને વરસ્યા હતા. જો કે તેમાં રાજકોટ મોરબી હાઈ વે પર આવેલા કાગદડી (Kagdadi) ગામમાં ભારે તારાજી સર્જાઈ છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે માત્ર દોઢથી બે કલાકના સમયમાં આ ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઈનું ખેતર ધોવાયું તો કોઈના પશુઓ તણાયા હતા. કોઈના ઘરની ઘરવખરી તણાઈ તો કોઈના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું હતું.
ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલા પશુઓ તણાઈ ગયા હતા. વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. નદી કાંઠે આવેલા ખેતરોમાં તો એવી સ્થિતિ થઈ હતી કે જાણે ખેતર નહીં કોઈ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતુ કે 100 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય તેવી તારાજી સર્જાઈ હતી. જો વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની હોત.
ખેતરમાં પાક ધોવાયો, ઘરમાં ઘરવખરી
એક તરફ ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે વાવેતર કર્યુ છે કે નહીં તે ખબર ન પડે તે રીતે પટ્ટ થઈ ગયા છે તો અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઈ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરૂ, રઈ સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ પહેલા વરસાદમાં જ ફેલ થયું છે હવે સીધું શિયાળું વાવેતર લઈ શકાશે, ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે.
ગામમાં હાથ ધરાયો સર્વે
આ તરફ ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગામમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગામના તલાટી મંત્રી સ્નેહલ મકવાણાના કહેવા પ્રમાણે મૃત્યુ પામેલા પશુઓ, ખેતીના પાકને થયેલા નુકસાન અને ઘર વખરીમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગામમાં અનેક પશુઓ તણાઈ ગયા છે, જ્યારે સૌથી વધારે નુકસાન ઘરવખરીને થયું છે. બીજી તરફ સરપંચ દેવ કોરડીયાના કહેવા પ્રમાણે કાગદડી ગામની સ્થિતિ અંગે ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને માહિતી અપાઈ રહી છે અને ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ લોકો દ્વારા ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: Surat: જ્યાં સારવાર કરાવવા દર્દીઓ જાય એ સિવિલ હોસ્પિટલ જ છે મચ્છરોનું ઘર?