RAJKOT : RMCના 69 ખાલી આવાસ પૈકી 41 પર ગેરકાયદેસર કબજો, કડક કાર્યવાહી કરવામાં આવશે
મ્યુનિસિપલ કમિશ્નરે અમિત અરોરાએ જાહેરાત કરી હતી કે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના પર ગેરકાયદેસર કબ્જો કરનારને છોડવામાં નહિ આવે.
RAJKOT : રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરે અમિત અરોરાએ ગઇકાલે શહેરની અલગ અલગ આવાસ યોજનાઓની રિવ્યુ બેઠક કર્યા બાદ આજથી તંત્ર એકશનમાં આવી ગયું હતુ. આજે શહેરની વામ્બે આવાસ યોજના અને પુષ્કરધામ આવાસ યોજનામાં મહાનગરપાલિકાના 69 આવાસ પૈકી 41 આવાસમાં ગેરકાયદેસર કબ્જો હોવાનું સામે આવતા તંત્રએ કાર્યવાહી કરી હતી.વિજીલન્સની ટીમ દ્વારા આ અંગે કાર્યવાહી કરતા તમામ આવાસમાં તાળાં મારી દેવામાં આવ્યા હતા.
પ્રથમ વખત વોર્નિંગ આપીને ખાલી કરાશે : અમિત અરોરા આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરે અમિત અરોરાએ કહ્યું હતુ કે આજે અલગ અલગ આવાસ યોજનાઓમાં જે લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો તે ખાલી કરાવવામાં આવ્યા છે અને પ્રથમ વખત આ પ્રકારનું કૃત્ય કરનારને વોર્નિંગ આપીને ખાલી કરી દેવામાં આવ્યા છે. હવે કોઇ આસામી બીજી વખત આ પ્રકારે કબજો કરશે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ગેરકાયદેસર કબજો કરનાર સામે નોંધાશે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ સોમવારે જ મ્યુનિસિપલ કમિશ્નરે અમિત અરોરાએ જાહેરાત કરી હતી કે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના પર ગેરકાયદેસર કબ્જો કરનારને છોડવામાં નહિ આવે. આવી પ્રવૃતિ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.આ કાર્યવાહી એવા લોકો માટે છે જેઓ આવી પ્રવૃતિ કરે પણ છે અને બીજા લોકોને આવી પ્રવૃતિ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીદ્યા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે.જેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા હેતુથી આવા ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
આવાસોનું સમારકામ-સફાઈ કરવામાં આવશે આ અંગે મળેલી રિવ્યુ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક આવાસ ખાલી પરંતુ જર્જરિત થઇ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા આવાસોનું સમારકામ અને સફાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે પણ ખાલી આવાસ છે તે બિસ્માર ન થાય તે માટે નિયમીત સફાઇ કરીને તેને ચોખ્ખા રાખાવાની સૂચના મ્યુનિસિપલ કમિશ્નરે આપી છે.
આ પણ વાંચો : કોંગ્રેસ MLA કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર, શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે આંદોલનની ચીમકી આપી
આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદમાં આખરે ઘી ના ઠામમાં ઘી ઢોળાયું, ચેરમેન દીનુમામા અને MLA કેતન ઈનામદાર વચ્ચે સમાધાન