Rajkot: જસ ખાટવાની હોડ! હાઈ પ્રોફાઈલ હત્યાનો પોલીસે ભેદ ઉકેલી તો નાખ્યો, પરંતુ માહિતી જાહેર કરવાને લઈને બે પોલીસમાં કોલ્ડવોર?
પોલીસ સૂત્રોના (Rajkot Police) કહેવા પ્રમાણે અનિલ આઠ દિવસ સુધી આ વિસ્તારમાં કામ કરી ચૂક્યો હતો. જેથી આ બંગલામાં કોઈ રહેતું નથી તેવી માહિતી હતી. અનિલને રૂપિયાની જરૂરિયાત હોવાથી તે અહીં ચોરીના ઇરાદે આવ્યો અને ચોરીનો પ્લાન નિષ્ફળ જતા હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ( Khodaldham chairman Naresh Patel) વેવાઈ પ્રવીણ પટેલના બંગલાના ચોકીદારની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં રાજસ્થાનના ઉદયપુરના ભોરાઇ ગામના રહેવાસી અનિલ મીણા નામના શખ્સની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસ આ આરોપીના હત્યા અંગેના ઉદ્દેશ અને હત્યાના કાવતરા અંગે વિશેષ માહિતી આપવા માટે પત્રકાર પરિષદ કરવા જઇ રહી હતી. આ અંગે સત્તાવાર માહિતી પણ આપી દીધી હતી, પરંતુ અંતિમ ઘડીએ આ પત્રકાર પરિષદ રદ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે હાઈ પ્રોફાઈલ આરોપીને માલવિયાનગર અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની સયુંક્ત ટીમે શોધી કાઢ્યો હતો. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે પોલીસ સ્ટેશન વચ્ચે જસ ખાટવા માટે આ પત્રકાર પરિષદ રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ચોરીના ઈરાદે કરવામાં આવી હત્યા
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે અનિલ મીણા નામના શખ્સે વિષ્ણુ ઘુચલા નામના પ્રૌઢની ગળેફાંસો લગાવીને અને ત્યારબાદ ડિસમીસના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કર્યા બાદ તે રાજસ્થાન ફરાર થઇ ગયો હતો અને માલવિયાનગર અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ચોરીના ઇરાદે આ શખ્સ આવ્યો હતો. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે અનિલ આઠ દિવસ સુધી આ વિસ્તારમાં કામ કરી ચૂક્યો હતો. જેથી આ બંગલામાં કોઇ રહેતું નથી તેવી માહિતી હતી. અનિલને રૂપિયાની જરૂરિયાત હોવાથી તે અહીં ચોરીના ઇરાદે આવ્યો અને ચોરીનો પ્લાન નિષ્ફળ જતા હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.
તપાસ હજુ બાકી હોવાથી આજે પત્રકાર પરિષદ રદ કરાઈ: એસીપી
પત્રકાર પરિષદ રદ કરવા અંગે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસિયાએ કહ્યું હતું કે આરોપીની હાલમાં જ અટકાયત કરવામાં આવી છે. જેથી હજુ પોલીસ દ્વારા તેની પુછપરછ કરવાની બાકી છે. પુછપરછ બાકી હોવાથી આજની પત્રકાર પરિષદ રદ કરવામાં આવી હતી. જો કે મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી, આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો. પરંતુ ક્યાં ડીસીપી મીડિયાને ઈન્ટવ્યૂ આપે તેના કારણે આખી પત્રકાર પરિષદ રદ કરવી પડી હતી.