Rajkot : સિંચાઇનું પાણી આપો, ખેડૂતોને વીજળી આપો નહિ તો પાક નહિ બચે, કિસાન સંઘની રજૂઆત
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું કે હાલમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મબલખ વાવેતર થયું છે. તેવા સમયે જો એક સપ્તાહમાં વરસાદ ન આવ્યો તો ખેડૂતોના મોલ બળી જશે.
Rajkot : રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસની વાવણી કરીને મુર્હૂત તો સચવાયું ગયું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર પાસે જે વિસ્તારોમાં સૌની યોજના છે, નહેર છે ત્યાં પાણી છોડવાની માંગ કરી છે. જ્યારે બોરવેલ-કૂવામાંથી પાણી મળી રહે તે માટે 8 કલાકના બદલે વધારાની બે કલાક વીજળીની માંગ કરી છે.
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મબલખ વાવેતર થયું છે તેવા સમયે જો એક સપ્તાહમાં વરસાદ ન આવ્યો તો ખેડૂતોના મોલ બળી જશે. જેના કારણે મોંઘા બિયારણ,ખાતરનો ખર્ચ કરનાર ખેડૂતને આર્થિક ફટકો પણ લાગશે. અને ચોમાસું પાકની સિઝન પણ બગડશે. ત્યારે ખેડૂતોને ઉગારવા માટે સિંચાઇનું પાણી છોડવાની માંગ કરી છે.સાથે સાથે જે વિસ્તારમાં હજુ પણ પાણી છે. ત્યાં વધારાની બે કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.જેમાં સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર છે. મગફળીનું 9.16 લાખ હેક્ટરમાં વાવેતર છે. જ્યારે કપાસનું 8.98 હેક્ટરમાં વાવેતર થયું છે.જો કે હજુ સુધી જુનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલીમાં વાવણીલાયક વરસાદ ન હોવાથી ખૂબ જ ઓછું વાવેતર થયું છે.
જિલ્લા પ્રમાણે થયેલું વાવેતર રાજકોટ 2.46 લાખ હેક્ટર સુરેન્દ્રનગર 1.78 લાખ હેક્ટર જામનગર 1.90 લાખ હેક્ટર પોરબંદર 47 હજાર હેક્ટર જુનાગઢ 1.37 લાખ હેક્ટર અમરેલી 3.99 લાખ હેક્ટર ભાવનગર 2.69 લાખ હેક્ટર મોરબી 1.65 લાખ હેક્ટર બોટાદ 1.36 લાખ હેક્ટર ગીરસોમનાથ 46 હજાર હેક્ટર દેવભૂમિ દ્વારિકા 1.37 લાખ હેક્ટરમાં વાવેતર પૂરૂ થયું છે.
જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ એક સપ્તાહ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતોના જીવ તારવે ચોંટી ગયા છે.
ખેડૂત નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હવે જો એક સપ્તાહમાં વરસાદ ન આવે તો મુશ્કેલી વધી શકે છે અને કપાસને નુકસાન પહોંચી શકે છે.એટલું જ નહિ હવે મોડી વાવણી કરવી ખેડૂતોને પોસાય તેમ નથી. ત્યારે જો વરસાદ ખેંચાય તો સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ વિભાગ દ્રારા પાણી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે જો સિંચાઇનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોને ઉગારી શકાય છે.